ટંકારા: હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે દ્વારકાના જગત મંદિર ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ‘ફૂલડોલ ઉત્સવ’ માં સહભાગી થવા માટે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકોનું ઘોડાપૂર દ્વારકા ભણી ફંટાયું છે. કાળિયા ઠાકોરના દર્શનની અદમ્ય ઈચ્છા સાથે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને કારણે અત્યારે માર્ગો પર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ
ટંકારા પંથકમાંથી પસાર થતા પદયાત્રીઓની સેવા માટે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા ઠેર-ઠેર સેવા સમિયાણા (કેમ્પો) શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અહીં ૨૪ કલાક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે:
ભોજન અને પ્રસાદ: ગરમાગરમ ભોજન, નાસ્તો અને ચા-પાણીની વ્યવસ્થા.
વિશ્રામ: પદયાત્રીઓ માટે આરામદાયક રોકાણની સગવડ.
આરોગ્ય સુવિધા: લાંબી પદયાત્રાને કારણે થતા થાક કે પગના દુખાવા માટે મેડિકલ સહાય અને પ્રાથમિક સારવાર.
ગુંજી ઉઠ્યા ‘જય દ્વારકાધીશ’ ના નાદ
ટંકારાના મુખ્ય માર્ગો પરથી પસાર થતી વખતે હાલ “જય દ્વારકાધીશ” અને “જય રણછોડ – માખણ ચોર” ના ગગનભેદી નાદ સંભળાઈ રહ્યા છે. ખાસ કરીને સિતરા માંની ધાર, ભગત બાપાની વાડી, શાંતિ આશ્રમ (ટંકારા) અને માલધારી સમાજ ટંકારા – જબલપુર ગામ મંડળ દ્વારા સંચાલિત સેવા કેમ્પો અત્યારે પદયાત્રીઓની સેવાથી ધમધમી રહ્યા છે.
ભક્તિના આ મહાકુંભમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો સુધીના તમામ શ્રદ્ધાળુઓ લાકડીના ટેકે અને હાથમાં ધજા લઈ કાનાના દરબારમાં શીશ ઝુકાવવા ઉત્સાહભેર કાળીયા ઠાકર સંગ ફુલડોલ માટે આગળ વધી રહ્યા છે.









