કડવા પાટીદાર સમાજ ભવનનું લોકાર્પણ અને દાતાઓનું સન્માન કરાયું
ગત તા.3ને અખાત્રીજના પાવન દિવસે ટંકારા ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા દશમો સમુહ લગ્નોત્સવ,સમાજ ભવનનું લોકાર્પણ અને દાતાઓનું સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમો ઉજવાયા હતા.અનેક નામાંકિત હસ્તીઓ હાજર રહી હતી.સ્વયં સેવકોએ ફરજનિષ્ઠા બજાવી કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા છેલ્લા દશેક વર્ષથી અખાત્રીજના પાવન દિવસે કડવા પાટીદાર સમાજના ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા શાહી લગ્નોત્સવ યોજવામાં આવે છે.જે ગઈકાલે તા.3ના રોજ નવ નિર્માણ ટંકારા પાટીદાર સમાજ ભવન ખાતે યોજાયેલ હતા.આ સાથે ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન એમ એક જ દિવસે ત્રિવિધ કાર્યક્રમ ઉજવાયો હતો.

શાહી સમુહ લગ્નોત્સવમાં મંગલગીતો અને શરણાઈના સૂર સાથે ૧૧ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા. લગ્નોત્સવ દરમ્યાન રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ જેવી વિવિધ સામાજિક સુધારા અંગે ચિત્રાવલી થકી જાગૃત કરવા સહિયારો પ્રયાસ કર્યો હતો.આ શુભ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક – રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌથી મોટો ફાળો સ્વયંસેવકોનો છે : ઉમિયા સમુહલગ્ન સમિતિ
અગનગોળા ફેંકતા ભાસ્કર વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી નામાંકિત ઉધોગપતિ, નોકરીયાત, રાજકીય અગ્રણી પોતાના સમાજના અવસરને દિપાવવા ઘર આંગણે રૂડો પ્રસંગ હોય એમ નિજ અભિમાન કે પૈસાનો દંભ છોડી જાત મહેનત થકી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બપોર ટાકણે જીવ માત્ર આકુળ-વ્યાકુળ બની ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે અલગ અલગ કમિટીના સભ્યો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી


 
                                    






