વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિને પગલે જ્યારે ચારેતરફ રાંધણગેસની અછત અને બાટલા મેળવવા માટે લાંબી કતારોના દ્રશ્યો સામાન્ય બન્યા છે, ત્યારે ટંકારા સ્થિત આર્ય ગેસ એજન્સી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. અહીં ગ્રાહકોને કોઈ પણ જાતની હાલાકી વગર સરળતાથી ગેસ રિફિલિંગની સુવિધા મળી રહી છે.
આર્ય ગેસ એજન્સી ખાતે નોંધાયેલા 15 હજારથી વધુ કનેક્શન ધારકો માટે એજન્સી દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. એજન્સીના પ્રતિનિધિ તુલસીભાઈ ખોખાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે: ગોડાઉનમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.દૈનિક સરેરાશ 300 જેટલા ગ્રાહકો રિફિલિંગ માટે આવે છે. બુકિંગ થયા બાદ ગ્રાહકોને તરત જ ડિલેવરી આપવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની અફરાતફરી કે ‘લાવ-લાવ’ની સ્થિતિ સર્જાતી નથી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે પણ પુરતો જથ્થો ઉપલબ્ધ છે
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સુરક્ષા અને સલામતીના તમામ નિયમોના પાલન સાથે ગ્રાહકો શાંતિપૂર્વક પોતાનો બાટલો મેળવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં જોવા મળતી ‘માથાફોડ’ થી વિપરીત ટંકારામાં આર્ય ગેસ એજન્સીની કામગીરીને કારણે ગૃહિણીઓ અને ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.









