ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાગૃતિ અને જીવજંતુઓના સંરક્ષણ માટે અનોખો “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદના વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા.20 માર્ચ એટલે કે, વિશ્વ ચકલી દિવસ નિમિતે ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને લાકડાના 100 ચકલીના માળા ભેટરૂપે આપવામાં આવ્યા હતા. તેમજ શાળા પરિસરમાં પણ માળાઓ સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાન અંગે જાગૃતિ લાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય હરેશભાઈ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ચકલીઓનું પર્યાવરણમાં મહત્વ તેમજ તેને બચાવવા માટેની જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે ચૈત્ર મહિનાની પરંપરા મુજબ કીડિયારું પૂરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરાયેલા કીડિયારાને વિદ્યાર્થીઓએ શાળાના વૃક્ષોના થડ પાસે પૂર્યા હતા, જેથી નાના જીવજંતુઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થાય. આમ, હરબટીયાળી પ્રાથમિક શાળામાં યોજાયેલ “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.









