ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.સામાજિક સમરસતા અને શૈક્ષણિક પ્રગતિના પ્રતીક સમાન નવનિર્મિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું આજે તારીખ 16 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ભવન આગામી સમયમાં સમાજ માટે વિશાળ શૈક્ષણિક સંકુલના પ્રથમ પગથિયા સમાન બની રહેશે.
આ લોકાર્પણ વિધિમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા (મોરબી-કચ્છ),સાંસદ કેસરીદેવસિંહજી (રાજ્યસભા), અને પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા (રાજકોટ પૂર્વ),ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કમળાબેન ચાવડા સહિત સામાજિક અગ્રણીઓ અન્ય કર્મશીલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિચારધારા અને સામાજિક ઉત્થાન પર ભાર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ સમાજને દિશા આપતા પ્રવચનો કર્યા હતા રાજવી કેસરીદેવસિંહજીએ બંધારણના પાયાના મૂલ્યો એવા સમાનતા અને માનવતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજકીય સત્તાના માધ્યમથી સામાજિક પરિવર્તન અને ઉત્થાન કેવી રીતે લાવી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સમાજ કલ્યાણ નિયામક છાશિયા એ સરકારની વિવિધ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સમાજને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મહંત શ્રી લાલદાસ બાપુએ ધાર્મિકતા અને ડૉ.બાબા સાહેબની વિચારધારાનો સમન્વય કરી ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.
શૈક્ષણિક ક્રાંતિનું કેન્દ્ર બનશે આ ભવન ટંકારામાં નિર્મિત આ ભવન માત્ર એક ઈમારત નથી, પરંતુ અનુસૂચિત સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મિશનરીઓ અને કર્મશીલોએ આ આયોજનને બિરદાવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકરો અને દાતાઓએ જહેમત ઉઠાવી હતી.આ ભવનના નિર્માણથી ટંકારા પંથકમાં સામાજિક ચેતનાનો નવો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









