હવેથી પ્રોપર્ટી કાર્ડમાં વારસાઇ કે વીલની એન્ટ્રી માટે તમામ વારસોની સહી સાથે એફિડેવીટ કરવી પડશે જેના લીધે વિદેશમાં વસવાટ કરતા વ્યક્તિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
રાજ્યના કોઈ પણ શહેરના સિટી સરવે વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ, વીલ કે વેચાણ દસ્તાવેજના આધારે એન્ટ્રી પડાવવા માટે એક પક્ષકાર જ અરજી કરીને એફિડેવીટ કરે તો પણ એન્ટ્રી પડી જતી હતી પણ હવે સેટલમેન્ટ કમિશન અને જમીન દફ્તર નિયામક દ્વારા પરિપત્ર કરીને જણાવ્યું છે કે, હવે પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ, વીલ કે વેચાણ દસ્તાવેજોના આધારે અન્ટ્રી પડાવવા માટે તમામ પક્ષકારોના ફોટા, સહીવાળી એફિડેવીટ કરવી ફરજિયાત કરી દેવાઈ છે. તમામ પક્ષકારોને ફરજિયાત ૧૩૫ ડીની નોટિસ બજાવવાની રહેશે જેમાં સેટલમેન્ટ કમિશનરના નવા પરિપત્રથી ખાસ વારસાઈના કિસ્સામાં એનઆરઆઈને તકલીફ પડે તેવા એંધાણ છે. કેમ કે, ગુજરાતના શહેરમાં માતા-પિતા રહેતા હોય અને તમામ ભાઈ-બહેનો વિદેશમાં હોય કે એક ભાઈ કે બહેન વિદેશમાં હોય તેવા કિસ્સામાં માતા-પિતાની અવસાન બાદ વારસાઈ માટે તમામ પક્ષકારોએ અમેરિકાથી વારસાઈ માટે ફરજિયાત આવવું પડશે. પહેલા એક જ પક્ષકાર આવીને વારસાઈ કરાવી જતાં હતા.
સેટલમેન્ટ કમિશનરે પરિપત્ર કર્યો છે કે, પ્રશ્નવાળી મિલક્તમાં નોટરી સમક્ષ કરવામાં આવેલા સોગંદનામા સંબધિત તમામ પક્ષકારો-વ્યક્તિઓને ૧૩૫ ડીની નોટિસ બજાવવાની રહેશે. વારસાઈ કે વેચાણથી મિલકત કાર્ડમાં ચાલતા તમામ ઇસમોના ફોટા સહિતનું સોગંદનામુ રજુ કરેથી તમામ સંબંધિત વ્યક્તિઓની સહીઓ ચકાસવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, શહેરની સિટી સરવે કચેરીઓમાં સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા સરકારના કાયદા, નિયમો કે જોગવાઇઓને અનુસરાતી નથી તેવી ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી. પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પાડતા પહેલા તમામ પક્ષકારોને ૧૩૫ ડી ની નોટિસ બજાવવાની હોય છે પણ બજાવવામાં આવતી ન હતી.