સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ જમાવ્યું આકર્ષણ; સંસ્થાના પાયા સમાન પૂર્વ સભાસદો અને કાર્યકરોનું વિશેષ સન્માન કરાયું
ટંકારા:
મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારામાં આર્ય સમાજની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘શતાબ્દી મહોત્સવ’નો બીજો દિવસ ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો હતો. ૧૩ ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી ઉમટી પડેલા આર્ય અનુયાયીઓએ વૈદિક સંસ્કૃતિના દર્શન કર્યા હતા.
વૈદિક પરંપરા અને મહાનુભાવોની ઉપસ્થિતિ
દિવસની શરૂઆત સવારે ૭:૪૫ વાગ્યે યજ્ઞશાળામાં આહુતિઓ સાથે થઈ હતી. યજ્માનોમાં ડૉ. પાર્થ કણસાગરા અને દુર્ગાબેન પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. મુખ્ય સભાગારમાં સ્વામી દેવવ્રતજી, સ્વામી શાંતાનંદજી, આચાર્ય આર્ય નરેશજી અને મુનિ સત્યજીતજી જેવા વિદ્વાનોએ મંચ શોભાવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત સભાના સભ્યો અને અન્ય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધીરુભાઈ, રમણિકભાઈ, હિતેશભાઈ, વિગ્નેશભાઈ, પરેશ દુબરિયા, પ્રવીણ લો, રાજેશ કટારિયા, મહેશ કટારિયા, વાત્સલ્ય મનિપરા, રમેશકુમાર કૈલા, ચિંતન પરમાર, ડૉ. બિપિન ભિમાણી, મુકેશ કોરીંગા, અનિમેષભાઈ, રાજેશ ગાંધવા, અરવિંદ ખોખાણી, અશ્વિન આંબલિયા, હિરાલાલ પનારા તેમજ હિનાબેન, રસિલાબેન અને વનિતાબેન સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
વિદ્વાનોના ઉદ્બોધન: યુવા શક્તિ અને પ્રસંગિકતા
મુખ્ય સત્રમાં સ્વામી દેવવ્રતજીએ “આર્ય યુવા શક્તિનું નિર્માણ કેવી રીતે કરવું?” વિષય પર પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે યુવાનોમાં સંસ્કારનું સિંચન એ જ રાષ્ટ્ર સેવાનું પ્રથમ સોપાન છે. ત્યારબાદ મુનિ સત્યજીતજીએ વર્તમાન સમયમાં આર્ય સમાજની પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો હતો.
મહિલા સંમેલન અને સાંસ્કૃતિક વૈવિધ્ય
બપોરના સત્રમાં આચાર્યા શીતલજી અને જયાબેન પટેલની નિશ્રામાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આર્ય વિદ્યાલય અને દેવકુંબર સંકુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઋણ સ્વીકાર: પૂર્વ સભાસદો અને કાર્યકરોનું સન્માન
સંસ્થાના વિકાસમાં યોગદાન આપનાર પૂર્વ સભાસદો હસુભાઈ કંસારા, વેદભાઈ ગોહિલ, કુસુમબેન પીઠવા, લલિતભાઈ ગાંધી, ચંદુભાઈ મારુ અને હિતેશભાઈ પરમાર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટંકારા આર્ય સમાજના કાર્યકરો, આર્ય વીરો અને મહિલા મંડળની બહેનોને તેમની સેવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.
ચિંતન પરમાર દ્વારા સ્વાગત પ્રવચન અને મુનિશ્રી સત્યજીતજીના આશીર્વચન બાદ શાંતિપાઠ સાથે બીજા દિવસના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.









