સમાજમાં સહકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા સુરાપુરા ધામ ખાતે 26 દીકરીઓના લગ્ન સંસ્કારનો સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં લગ્નવિધિ યોજાશે.
સુરાપુરા ધામ ખાતે સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા 26 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ 10 ફેબ્રુઆરી 2026, મંગળવારે સવારે 8 વાગ્યે સુરાપુરા ધામ, ટંકારા (અમરાપર રોડ નજીક કાંઠે) ખાતે યોજાશે. કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો સવારે 6:30 વાગ્યે જાન આગમન, સવારે 7:15 વાગ્યે સામૈયું, સવારે 10:15 વાગ્યે હસ્તમેળાપ, બપોરે 11 વાગ્યે આશીર્વાદ, બપોરે 1:30 વાગ્યે વિદાય અને 11 વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના વિવિધ દાતાઓ દ્વારા રોકડ રકમ તેમજ લગ્ન માટે જરૂરી સામગ્રીનું યોગદાન આપવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે દિપકભાઈ ભનુભાઈ બાલસરીયા અને યમનભાઈ દિપકભાઈ બાલસરીયા રહેશે. લગ્નવિધિના શાસ્ત્રી તરીકે આચાર્ય કોશિકભાઈ શાસ્ત્રી સેવા આપશે. કાર્યક્રમ દરમિયાન લગ્ન માટે જરૂરી પાનેટર, બોક્સ સેટ, ફલાટ, ગાદલું, આસીકા સેટ, ચાંદીની ગાય, તુલસી ક્યારું સહિતની સામગ્રી તેમજ ભોજન સમારંભનું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.સમૂહ લગ્નોત્સવના આયોજનમાં સુરાપુરા ધામ ટંકારા મિત્ર મંડળ, બાલસરીયા પરિવાર ગ્રુપ (કોડી, ટંકારા, વા.વેડી, વાંકાનેર) તથા અન્ય સેવાકીય સંસ્થાઓ સહભાગી બની રહી છે. આયોજકો દ્વારા સમાજના લોકોને કાર્યક્રમમાં હાજરી આપી નવદંપતિઓને આશીર્વાદ આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.









