પોપટ પરિવારના સહયોગથી યોજાયેલા કેમ્પમાં ૧૩૧ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરાયા.
મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૨૫૮ દર્દીઓએ લાભ લીધો હતો, જ્યારે ૧૩૧ દર્દીઓને મફત ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીના ૫૫ કેમ્પમાં કુલ ૧૫,૪૯૪ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.
મોરબીના જલારામ ધામ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત આયોજનથી દર મહિના ની ૪ તારીખે યોજાતા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ અંતર્ગત તા. ૪ એપ્રિલે કેમ્પ યોજાયો હતો. સ્વ. રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ (હ.નિતીનભાઈ, દીપકભાઈ પોપટ-રીધ્ધી ફટાકડા, ચેરમેન-મોરબી નાગરિક બેંક) તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ ૨૫૮ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ૧૩૧ દર્દીઓને નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા, જ્યાં આધુનિક ફેકો મશીનથી ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે સારવાર આપવામાં આવશે. દર્દીઓ માટે જવા-આવવાની, રહેવાની અને દવાઓ સહિતની તમામ સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીના ૫૫ કેમ્પમાં કુલ ૧૫,૪૯૪ દર્દીઓનું નિદાન અને હજારો ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. કેમ્પને સફળ બનાવવા વિવિધ આગેવાનો અને સેવાભાવી કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.









