વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ ૨૦૧૮ માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતી હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ અને મદદનીસ સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખીને આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ સજા અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૮માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે બાઈક ઉપર લઈ જઈ અપહરણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સગીરાને સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામે લઈ જઇ સગીરા સાથે આરોપીએ અવારનવાર જાતીય શોષણ કર્યું હતું. જે બનાવને લઈને સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદીને આધારે પોલીસે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અને તે ગુનામાં ૨૧ વર્ષીય આરોપી પરેશ માનસિંગભાઈ મેર નામના શખ્સની ધરપકડ કરી હતી. અને જે તે સમયે આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસ મોરબીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યાની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં મોરબી જિલ્લાના મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી પરેશ માનસિંગભાઈ મેરને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા જુદી જુદી કલમ હેઠળ કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનેલ સગીરાને આરોપી દંડની રકમ ભરે તો તેના સહિત કુલ રૂ. ૪.૨૫ લાખ ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.