તલાટી મંત્રી સાથે શાંતિથી વાત કરવાનું કહેતા બંને આરોપીઓએ ગ્રામ પંચાયત ઓફીસ માથે લીધી.
હળવદ તાલુકાના નવા દેવળીયા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે તલાટી મંત્રી સાથે ઉગ્ર બોલાચાલી કરી રહેલા બે શખ્સોને સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારાએ શાંતિથી વાત કરવાની અપીલ કરી હતી. જો કે, આટલું કહેતા જ શખ્સોએ ઉશ્કેરાઈને સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો બોલી બંને શખ્સોએ ઢીકા-પાટુનો માર મારી, તેમજ સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર નવા દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ ઇશ્વરભાઇ રામજીભાઇ અઘારા ઉવ.૫૫ રહે.ગામ નવા દેવળીયા તા.હળવદવાળાએ આરોપી સુરપાલસિંહ તેજુભા પરમાર હાલરહે.મોરબી મુળરહે.ગામ નવા દેવળીયા તા.હળવદ તથા એક અજાણ્યો માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૧૧/૦૨ ના રોજ ઉપરોક્ત બન્ને આરોપીઓ કોઇ કામ સબબ ગ્રામ પંચાયત ઓફિસે આવેલ હોય ત્યારે તલાટી કમ-મંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્રભાષામાં
જોરજોરથી બોલતા હોય જેથી હાજર સરપંચ ઈશ્વરભાઈએ આરોપીઓને શાંતીથી વાત કરવા જણાવતા, આરોપીઓને સારૂ
ન લાગતા તુરંત બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ સરપંચ ઈશ્વરભાઈને ગાળો આપી તેઓની સાથે ઝપાઝપી કરી ઢીક્કાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદને આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.