ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ અસહ્ય ગરમી પડવાની સંભાવના હોવાથી લૂ થી બચવા તકેદારી રાખવાના પગલા અંગે માહિતી આપવામાં આવી છે.
હાલમાં ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે .અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.
લુ લાગવાના લક્ષણોની વાત કરવામાં આવે તો શરીર અને હાથ પગ દુઃખવા, માથું દુઃખાવુ, શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી. શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી આ તમામ લુ લાગવાના લક્ષણો છે. જયારે લુ લાગવાથી કેવી રીતે બચવું તેની વાત કરવામાં આવે તો ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું. અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું. સીધા સૂર્ય પ્રકાશથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ.વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષકાળજી રાખવી. ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ. બજારમાં વેચતા બરફનો ઉપયોગ ટાળવો. સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ. ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન ટાળવું અને તાજા ફળોના રસનું સેવન કરવું. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.વી.બાવરવા દ્વારા જણાવવામાં આવ્યું છે.