કબરાઉ અને અંજાર માતાજીના દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડયો, ૨૨ પૈકી ૧૨ લોકોને ઈજાઓ
માળીયા-હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક એક બોલેરો પલ્ટી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાલકે રોડ નીચે ઉતરેલી બોલેરો ગાડી ફૂલ સ્પીડમાં કાવુ મારી રોડ ઉપર ચડાવતા, રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ બોલેરો પલ્ટી મારી ગયી હતી. હાલ માળીયા(મી પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા (મી)-હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક જીજે-૧૩-એએક્સ-૮૭૭૯ નંબરની બોલેરો પીકઅપ પલ્ટી ગઈ હતી. આ ગાડીમાં માતાજીના દર્શનાર્થે ગયેલ એક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રામપરા તા.ધ્રાંગધ્રાના નિવાસી બેચરભાઈ જયંતીભાઈ ઉધરેજીયા ઉવ.૨૨ ઘાયલ થયા હતા ત્યારે તેમણે માળીયા(મી) પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર ગઈ તા.૧૫/૦૪ ના રોજ બેચરભાઈ તેના પત્ની, પુત્ર અને તેના માતા-પિતા, સાસુ-સસરા, સાઢુંભાઈનો પરિવાર એમ અંદાજે ૨૨ જેટલા સભ્યો કચ્છમાં કબરાઉ તથા અંજાર માતાજીના દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી પરત ફરથી વેળા માળીયા(મી) અણીયારી ટોલનાકા નજીક બોલેરો ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. બોલેરોમાં કુલ ૨૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી ૧૨ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલ લોકોને તાત્કાલિક જેતપર પીએચસી અને ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેચરભાઈના સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા તથા સાસુ લક્ષ્મીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. હાલ માળીયા(મી) પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.