મોરબી જિલ્લાના ટંકારા તાલુકા સ્થિત શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળા, શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળા અને માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય દ્વારા સંયુક્ત રીતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રંસગે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. વિનોદ સર દ્વારા શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાના આદરનો અનોખો સંદેશ આપે છે.
આજના આષાઢી બીજનાં શુભ દિવસે શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં બાળવાટિકામાં ૧૬ બાળકીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે શ્રી હડમતીયા કુમાર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં ૧૮ અને ધોરણ ૧ માં ૩ બાળકોએ પ્રવેશ મેળવી શાળાના નવજીવનનો પ્રારંભ કર્યો છે. માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયમાં ધોરણ ૯ માં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન, સીણોજીયા વૃંદાબેન દ્વારા સામાજિક ઉત્થાન પર અને ખાખરીયા સુખવંતીબેન દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા વર્તમાન સમયના મહત્વના વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. CET અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ તાજેતરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને પણ પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા.
તે ઉપરાંત, ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૯ માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી સન્માન કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયના ધોરણ ૧૦ માં A1 ગ્રેડ મેળવનાર ૩ તેજસ્વી વિદ્યાર્થીઓ ડાભી દિવ્યા રણજીતસિંહ, ખાખરીયા અંકિતા અશોકભાઈ અને ચાવડા ગાયત્રી હેમંતભાઈને પણ મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામા આવ્યું હતું. શાળાના વિકાસમાં ઉમદા ફાળો આપનાર દાતાઓ ડોડીયા પિન્ટુભાઈ, પ્રવીણભાઈ વીરા તેમજ વામજા ચંદ્રમોલીભાઈને પ્રમાણપત્ર આપી સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નાયબ નિયામક ઉચ્ચ શિક્ષણ વાઢેર સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રેરક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે પ્રાઇવેટ શાળાનો મોહ રાખ્યા વિના ખોટા ખર્ચા બંધ કરી વધુને વધુ બાળકો ભૌતિક સુવિધા અને શૈક્ષણિક સુવિધાથી સજ્જ સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેમ વાલીઓને સૂચન કર્યુ હતું. જે કાર્યક્રમના અંતે, શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળાના શિક્ષક પ્રવીણભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને ત્યારબાદ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપી કાર્યક્રમને સંપન્ન જાહેર કરી શાળા પરિવારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.