મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની બાબતે થયેલી હત્યાના ગુનામાં ટંકારા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, 28 જૂનની રાત્રે નસીતપર ગામે અશોકસિંહ હનુભા ઝાલાની વાડીમાં ખેતમજૂરી કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા અને તેનો મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા બેઠા હતા. આ દરમિયાન અનિલનું પાકીટ રવિભાઈએ લઈ લીધાની શંકાને લઈને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા અનિલ મકવાણાએ લાકડાના ધોકાથી રવિભાઈના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.ટંકારા પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા (ઉંમર 42), રહે. કુલીનગર-1, વીસીપરા, મોરબીને 29 જૂને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો તેમજ એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા, પીએસઆઈ એસ.એન. સગારકા તથા ટંકારા પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.






