સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2030 સુધીમાં બાળ મજૂરી નાબૂદ કરવાનો લક્ષયાંક નક્કી કરવામાં આવ્યો છે.પરંતુ તેના માટે જરૂરી પગલાં અને જાગૃતી કાયદાના પાલન કરવામાં સરકાર નિષ્ફળ થતી દેખાઇ રહી છે.સુરેન્દ્રનગરના થાનગઢમાં સીરામીક કામ કરતા વાંકાનેરના લૂણસર ગામના યુવકને સીલીકોસીસ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ યુવક સગીર હતો ત્યારે મજૂરીએ લાગ્યો હતો જે યુવાન વયે પહોચતા જ તેનું સિલિકોસીસ ને કારણે મોત નીપજ્યું છે.
વર્ષ ૧૯૮૬માં ગુરુપદ સ્વામી સમીતીની ભલામણોના આધારે બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધીનીયમ ઘડવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ જોખમી વ્યવસાય અને પ્રક્રીયાઓમાં રોજગાર આપવા ઉપર પ્રતિબંધ છે છતાં સુરેન્દ્રનગરના થાનગઢની નજીક આવેલ અનમોલ સીરામીક એકમે કાયદાની અવગણના કરી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લૂણસર ગામના ૧૪ વર્ષના મહેશ ઝાલાને નાની ઉંમરે મજુરીએ જોતર્યા હતો.તેના અંદાજિત ૩ વર્ષ બાદ એટલે ૧૭ વર્ષની ઉમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં ડોક્ટરને બતાવતાં મહેશને સીલીકોસીસ થયાનું સામે આવ્યું હતું ધીમે ધીમે મહેશને શ્વાસની તકલીફ વધતી ગઈ.છેલ્લું ૧ વર્ષ તો સતત પથારીવશ – ઓક્સીજન રહેવું પડ્યું હતું અને અંતે ૧૮ વર્ષની ઉંમરે મહેશ સીલીકોસીસના કારણે મૃત્યુ પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ ઝાલાના માતાનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું. તેથી પરીવાર પર દેણું થઈ ગયું હતું અને ગરીબી, બેકારી અને દેવાના કારણે નાની ઉમરે મહેશ મજૂરી કામે લાગ્યો હતો.જો કે, મહેશ અને તેમના પરીવારએ વાતથી અજાણ હતા કે આ કામ કરવાને કારણે આવી જીવલેણ બીમારી થશે. હાલ પરીવાર પર ૩ લાખનું દેણું છે, ભાડાના મકાનમાં રહે છે. સીલીકોસીસ પીડીત સંઘે આ અંગે ગત તા.૧૫/૦૧/૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગરના જિલ્લા બાળ સુરક્ષા અધીકારી, સરકારી શ્રમ અધીકારી, મદદનીશ નિયામક ડીસ કચેરી તથા ગુજરાત રાજ્ય બાળ અધીકાર કમીશનને આ અંગે કડક પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. પરંતુ આ જ દિવસ સુધી કોઈ જવાબ સંઘને પ્રાપ્ત થયો નથી. તેવું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળેલ કે, અનમોલ સીરામીકમાં કામ કરતા અન્ય એકકામદારને પણ સીલીકોસીસની બીમારી થઈ છે. જે લૂણસર ગામના જ વતની છે. અનમોલ જેવા તો બીજા અનેક એકમો આ જીલ્લામાં છે. આવા મોતના કારખાનાઓ પર જો કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ન જાને. આ હજી કેટલાના ભોગ લેવાશે.