વિશ્વભરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ દિવસે યુવાનોની શક્તિ, પ્રતિભા અને સામાજિક જવાબદારીને માન આપવાનો અવસર છે. યુવાનો માત્ર આવતીકાલના નહીં, પરંતુ આજના ભારતના પણ મુખ્ય શિલ્પી છે. ત્યારે અંતરરાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છા પાઠવતા યંગ ઈન્ડિયા ગ્રુપનાં ડો.દેવેને રબારીનો પ્રેરક સંકલ્પ લીધો છે અને યુવાનોને આ સંકલ્પ લેવા પ્રેરિત કર્યા છે.
યંગ ઈન્ડિયા ગ્રુપનાં ડો.દેવેને રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિશ્વ માનવતાના ભાવિ નાગરિકો તરીકે, યુવાનો પાસે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની અનોખી તાકાત છે. શાંતિપૂર્ણ, ન્યાયપૂર્ણ અને સમાનતાપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવા માટે તેમની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. યુવાનોમાં રહેલી નવીન વિચારશક્તિ, તકનીકી કુશળતા અને અડગ હિંમત, સમાજને નવી દિશા આપી શકે છે. ભારત આજે વિશ્વના સૌથી મોટા યુવા દેશ તરીકે ઓળખાય છે. આપણા યુવાનોએ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ટેકનોલોજી, કલા અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેઓએ માત્ર દેશનું નહીં, પણ વિશ્વનું નામ પણ ગૌરવભેર ઊંચું કર્યું છે. રાષ્ટ્રની એકતા, અખંડતા અને પ્રગતિમાં યુવાનોનું યોગદાન અવિસ્મરણીય છે. આજના સમયમાં, દેશના યુવાનોએ અશિક્ષણ, જાતપાત, રૂઢિવાદ, લિંગભેદ, ભ્રષ્ટાચાર જેવી સામાજિક કુપ્રથાઓને દૂર કરવા માટે આગળ આવવું પડશે. સમાજને આ બંધનોમાંથી મુક્ત કરી, તેને નવું જીવન, નવી દિશા આપવી એ યુવાનોનું કર્તવ્ય છે. અમારા અમર ક્રાંતિકારીઓ – ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોસ અને અન્ય મહાન ક્રાંતિવીરો – આપણાં માટે અનુસરવા યોગ્ય આદર્શ છે. તેમના બલિદાન અને સપનાઓને સાકાર કરવું, તેમના પ્રત્યેનું સાચું શ્રદ્ધાંજલિરૂપ દાયિત્વ છે. યુવાનો માટે જરૂરી છે કે તેઓ પોતાની શક્તિ માત્ર વ્યક્તિગત વિકાસમાં નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ વાપરે. રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ પ્રચાર અને સ્વાવલંબન જેવા ક્ષેત્રોમાં યુવાનોની સક્રિય ભૂમિકા રાષ્ટ્રને સશક્ત બનાવી શકે છે. આ અંતરરાષ્ટ્રીય યુવા દિવસે, આવો આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે – અમે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ ભજવશું, દેશની પ્રગતિને ગતિશીલ બનાવશું અને આપણા માતૃભૂમિનો ગૌરવ વધારશું.