વાંકાનેરમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઘરનો દસ્તાવેજ કરવી લઈ વ્યાજે આપેલ ૧૫ લાખના ૧૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ સતત વધુ રૂપિયાની ઉઘરાણી કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી મિલ્કત પડાવી લીધી હતી. હાલ ભોગ બનનાર દ્વારા એક મહિલા સહિત ચાર જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મેઈન બજાર મોચીશેરીમાં રહેતા દુર્ગેશભાઈ મણીલાલ ચૌહાણ ઉવ.૪૧ એ વાંકાનેર પોલીસ સમક્ષ આરોપી ઈમરાન ફારૂક છબીબી રહે.તાલુકા શાળા નં-૧ ગલીમાં વાંકાનેર, આરબ મોહંમદયુસુફ અબુબકર રહે.ચાવડી ચોક વાંકાનેર, મોહમદયુસુફની પત્ની તથા અજય ઉર્ફે ભોલો રમેશભાઈ માણેક હાલ રાજકોટ શહેર વાળા વિરુદ્ધ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૩૦ જૂન ૨૦૨૦ના રોજ પોતાના મકાનનો દસ્તાવેજ કરી ફરિયાદીએ આરોપી ઈમરાન ફારૂક છબીબી અને આરબ મોહંમદયુસુફ અબુબકર પાસેથી રૂ.૧૫,૦૦,૦૦૦/- વ્યાજે લીધા હતા. માસિક રૂ.૩૭,૫૦૦ વ્યાજ ચુકવવાનું નક્કી કર્યા મુજબ ફરિયાદીએ આજદીન સુધીમાં રૂ.૧૮,૦૦,૦૦૦/-થી વધુ વ્યાજ ચુકવી દીધુ હોવા છતાં આરોપીઓએ વધુ રૂપિયાની માંગણી સાથે કરતા હોય. વધુમાં, આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બળજબરીથી ફરિયાદીની મિલ્કત પડાવી લીધા અંગેના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર સીટી પોલીસે આરોપી એક મહિલા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ અને આઇપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.