એક બાઇક, બે એકટીવા પડાવી લઈ એક મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરી વ્યાજખોરોએ શિક્ષક પરિવારનું આર્થિક શોષણ કર્યું.
હળવદમાં સરકારી શિક્ષક પરિવાર ઊંચા વ્યાજના જાળમાં ફસાઈ ગયો હતો. વ્યાજખોરોએ નાણાં પરત આપવા દબાણ સાથે ધમકી આપી, મકાન તથા વાહનો પોતાના કબજામાં લીધા હતા. હાલ વ્યાજંકવાદના ભરડામાં આવેલ શિક્ષકે વ્યાજખોરોના આર્થિક માનસિક ત્રાસથી કંટાળી હળવદ પોલીસ મથકમાં ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
હળવદમાં વ્યાજખોરો બેફામ થયાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરીદર્શન સોસાયટી રાણેકપર રોડ મકાન નં. ૬૫માં રહેતા રાજેશભાઇ ભીમજીભાઈ પારેજીયા ઉવ.૫૨ જેઓ નવા ઘનશ્યામગઢ કન્યા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓએ હળવદ પોલીસ મથકમાં આરોપી પ્રભુભાઈ જહાભાઈ રબારી રહે. હરીદર્શન સોસાયટી રાણેકપર રોડ હળવદ, ભરતભાઈ રાણાભાઈ રબારી રહે. હરીદર્શન સોસાયટી રાણેકપર રોડ હળવદ, હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયા રહે. રૂદ્ર ટાઉનશીપ-૧ સરા રોડ હળવદ તથા જયદેવભાઈ મનહરદાન ગઢવી રહે. સ્વમિનારાયણનગર હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આજથી આશરે બે વર્ષ પહેલાં ફરિયાદી રાજેશભાઇના મોટાભાઈની બીમારીને કારણે ઉપરોક્ત ચારેય વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમયે ઊંચા વ્યાજે નાણા લીધા હતા. વ્યાજના રૂપિયા સમયસર આપવા છતાં વધુ પૈસાની લાલચે શિક્ષક પાસે પઠાણી ઉઘરાણી કરતા હોય જે બાદ વ્યાજના રૂપિયાનું ભારણ વધતા વ્યાજની ચુકવણી નહિ કરી શકતા, એક બાઇક તથા બે એકટીવા તેમજ ૧૨ લાખના મકાનનો દસ્તાવેજ વ્યાજખોરોએ પોતાના નામે કરવી લીધો હતો, ત્યાંથી પણ ન અટકતા વ્યાજખોરો ફરિયાદી તથા તેમના પરિવારને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળી જઇ ફરિયાદી રાજેશભાઈએ ચારેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ હેઠળ ગુનો નોબધી આગળની તપાસ શરૂ કરી છે.