જનસેવાને સમર્પિત જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબીમાં જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા દ્વારા પોતાના જન્મદિવસના અવસરે મોરબી ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડાયાબિટીસ, બી.પી. સહિતના રોગોના નિદાન સાથે દર્દીઓને ફ્રી દવા અને એક્યુપ્રેશર દ્વારા સારવાર મળશે.
મોરબીમાં માનવસેવાને જીવનધર્મ રૂપે સ્વીકારનાર જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ, મોરબીની પ્રમુખ જયશ્રીબેન સાગરભાઈ વાઘેલાના જન્મદિવસના પ્રસંગે એક અનોખી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. સમાજના દરેક વર્ગના લોકો સુધી આરોગ્ય સેવા પહોંચે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર (બી.પી.)નું નિદાન ડૉ. ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા ક્લિનિક) દ્વારા કરવામાં આવશે. નિદાન કરાયેલા દર્દીઓને જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરિવાર તરફથી ૩ દિવસની દવા સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે. સાથે સાથે તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય તકલીફો માટે પણ ચકાસણી કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં, જયસુખભાઈ ભાલોડીયા (સૌજન્યશ્રી) દ્વારા હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા તેમજ વાના દર્દીઓને એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા ફ્રી સારવાર આપવામાં આવશે.