મોરબી જીલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રાજ્ય
સરકારને કમિશન દરમાં વધારો, ઈ-પ્રોફાઇલ તકેદારી, સહાયકનો ઉમેરો તથા ટેકનિકલ પ્રશ્નોના નિકાલ જેવી માંગણીઓ સાથે સસ્તા અનાજ દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. પડતર માંગણીઓનો યોગ્ય નિકાલ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
મોરબી જીલ્લામાં ફેરપ્રાઈઝ શોપ ધારકો દ્વારા વિવિધ લાંબા સમયથી લંબાયેલી સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ-પ્રોફાઇલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બનાવવાની મંજૂરી, સમિતિના સભ્યોના ૮૦% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર કમિશનની ચુકવણી તથા ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સમાવેશ થાય છે. એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય એસોસિએશન દ્વારા પૂરવઠા મંત્રી તથા સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી સંતોષકારક કે લેખિત પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી. આથી, ‘ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન’ અને ‘ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન’ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવાયો છે કે જો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
મોરબી જીલ્લા એસોસિએશને જીલ્લા પુરવઠા અધિકારી (DSO) ને અપીલ કરી છે કે ગ્રાહકોને અનાજ વિતરણમાં વિક્ષેપ ન પડે તે માટે આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવે. આ અંગે મોરબી શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના ઉપપ્રમુખ ઉગાભાઈ રાઠોડ દ્વારા જણાવાયું કે સરકારની સમયસર કાર્યવાહી જરૂરી છે જેથી રેશન વિતરણ વ્યવસ્થા પ્રભાવિત ન થાય અને ધારકોની વાજબી માંગણીઓનો સકારાત્મક ઉકેલ મળી શકે.









