મોરબીમાં રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળશે. નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ‘સરદાર કથા’નું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં રાષ્ટ્રપ્રેમનો નાદ ગુંજશે. કન્યા છાત્રાલયના આંગણે લોહપુરુષના જીવન ચરિત્ર પર આધારિત કથાનું આયોજન કરાયું છે,
નિર્શિવ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે લોકો ધાર્મિક કથાઓ જેવી કે રામકથા કે ભાગવત કથાનું શ્રવણ કરતા હોય છે, પરંતુ મોરબીના આંગણે એક ક્રાંતિકારી અને અનોખી પહેલ થવા જઈ રહી છે. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત “સરદાર કથા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૫,૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ, મોરબીના કન્યા છાત્રાલય ખાતે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન આ રાષ્ટ્ર યજ્ઞ યોજાશે. કથાના વક્તા શૈલેષ સગપરિયા જાણીતા પ્રેરક વકતા તથા ભૂતપૂર્વ ક્લાસ 1 અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે, જેમના મુખેથી અસ્ખલિત કથાવાર્તા સાંભળી લોકોને ખૂબ પ્રેરણા મળશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને સરદારના દ્રઢ મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના કાર્યોથી પરિચિત કરાવવાનો છે. આ કથા’માં કોઈ ચમત્કારની નહિ, પણ સરદારના લોખંડી પુરુષાર્થ અને એકતાના મંત્રની વાતો થશે. આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે, ત્યારે આ કાર્યક્રમ ઉદ્દેશ્ય સમાજમાં નવી ચેતના ના બીજ રોપવાની છે. આ ત્રિદિવસીય કાર્યક્રમના આયોજક નિર્શિવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તથા ગોપાલભાઈ ચમારડી છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ રાષ્ટ્રવંદનાનો અવસર છે. મોરબીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ ‘સરદાર કથા’નો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









