વાંકાનેરના વાલાસણમાં ત્રણ મહિલાઓ પર ઘાતકી હુમલો કરી એક મહિલાની હત્યા કરનાર ઈસમને મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. તેમજ આરોપીને રૂ. ૨૬,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં વાલાસણ ગામે રહેતા પુજાબેન રમણીકભાઈ ફુલતરીયાના પીતા તેમની કુળદેવીના ભુવા હોવાથી વિક્રમભાઈ ગોરધનભાઈ ફુલતરીયા નામનો આરોપી તેમની પાસે દાણા જોવડાવવા તેમના ઘરે ગયો હતો. ત્યારે રમણીકભાઈ ઘરની છત ઉપર સુતેલ હતા. જે બાબતે કંચનબેન દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ચારી વડે પુજાબેન, કાજલ તથા મૃતક કંચનબેન પર ઘાતકી હુમલો કરતા ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા કંચનબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે પુજાબેન રમણીકભાઈ ફુલતરીયા દ્વારા ગત તા.૨૩/૦૮/૨૦૨૦ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ પી.વી. શ્રીવાસ્તવની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જે કેસમાં કોર્ટે ફરિયાદીની તરફે દલીલો માન્ય રાખી આરોપીને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને રૂ. ૨૬,૦૦૦/- દંડની સજા ફટકારવામાં આવી છે.









