પીપળી ગામે ત્રણ અલગ અલગ સોસાયટીમાં રહેવાસીઓ સાથે વિશ્વાસઘાત કરનારા ત્રણ બિલ્ડરો વિરુદ્ધ અલગ અલગ ત્રણ ગુના નોંધાયા.
લાઈટ, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે ૧૪૪ થી વધુ મકાનના પરિવારો મુશ્કેલીમાં.
મોરબીના પીપળી ગામે આવેલી ગોકુલધામ, ત્રિલોકધામ અને માનસધામ-૨ સોસાયટીમાં લાઈટ, પાણી, રોડ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા રહીશોએ ત્રણ અલગ-અલગ ફરિયાદમાં ત્રણ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ત્રણે સોસાયટી તરફથી આઠ બિલ્ડરો વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સ્થાનિકોએ ગઈકાલે પીપળી-જેતપર રોડ ચક્કાજામ કરીને ત્રણેય સોસાયટી તરફથી અલગ અલગ ત્રણ ફરિયાદો કરવાની માંગ કરી હતી જે માંગ પોલીસે સ્વીકારી હતી અને જેને લઈને અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલી ગોકુલધામ, ત્રિલોકધામ અને માનસધામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે ગોકુલધામ સોસાયટીમાં મકાન નં. બી-૧૦માં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઇ પરમાર ઉવ.૪૮ અને ત્રિલોકધામ સોસાયટીમાં એચ-૬માં રહેતા વિનોદભાઈ ભલાભાઈ ચાવડા ઉવ.૪૩ તથા માનસધામ-૨ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ઘેલાભાઈ બોચીયા એ આરોપી બિલ્ડર હસમુખભાઈ વલમજીભાઈ પટેલ, આરોપી બિલ્ડર પ્રવીણભાઈ ગણેશભાઈ ગામી તથા આરોપી બિલ્ડર મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે, ગોકુલધામ સોસાયટીમાં કુલ આશરે ૪૩ મકાનો આવેલ છે. અને ત્રિલોકધામ સોસાયટીમાં ૧૦૧ મકાન આવેલ છે, જ્યારે માનસધામ-૧ અને ૨ માં ઘણા મકાનો આવેલ છે. ત્યારે ગોકુલધામ સોસાયટીમાં ફરિયાદી ભરતભાઈની માતા નંદુબેનના નામે તા.૨૨/૦૫/૨૦૧૯ના રોજ રૂ.૧૦,૨૫,૦૦૦/-ની કિંમતનું મકાન આરોપી બિલ્ડર હસમુખભાઈ પટેલ પાસેથી રજીસ્ટર દસ્તાવેજ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. અને ત્રિલોકધામ સોસાયટીમાં વિનોદભાઈ ચાવડાના પત્ની વનીતાબેનના નામે વર્ષ ૨૦૨૨ માં આરોપી બિલ્ડર પ્રવીણભાઈ ગામી પાસેથી રજીસ્ટર દસ્તાવેજ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. જ્યારે માનસધામ-૨ સોસાયટીમાં આરોપી બિલ્ડર મનીષભાઈ કાલરીયા પાસેથી વર્ષ ૨૦૨૨માં જગદીશભાઈએ મકાનની ખરીદી કરી હતી. તે સમયે બિલ્ડરોએ પાણી, રોડ-રસ્તા, ગટર, કોમન પ્લોટ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકાર સમક્ષ બાંહેધરી આપ્યાનું કહી રહીશોને વિશ્વાસમાં લીધા હતા.
સમય જતા ત્રણેય સોસાયટીમાં કોઈ જ સુવિધાઓ ઉપલબ્ધ ન થતા માનસધામ, ગોકુલધામ અને ત્રિલોકધામ સોસાયટીના રહીશો પીપળી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા ગયા હતા, જ્યાંથી જાણવા મળ્યું કે મકાનના દસ્તાવેજ નમૂના નંબર-૨માં ચડેલા ન હોવાથી પંચાયત તરફથી કોઈ સુવિધા મળી શકે નહીં. ત્યારબાદ બિલ્ડરને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા, રહીશો દ્વારા ઓનલાઈન દસ્તાવેજ ચકાસણી કરતા ખુલ્યું કે બિલ્ડરે મકાનની જગ્યાએ પ્લોટના દસ્તાવેજ કરી આપ્યા હતા અને પ્રાથમિક સુવિધાઓ માટે લેવાયેલા નાણાંનો અંગત ઉપયોગ કરી રહીશોને સુવિધાઓથી વંચિત રાખ્યા હતા. આ રીતે બિલ્ડરોએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









