મોરબી જીલ્લામાં ૦૬/૦૨ના રોજ અલગ અલગ વિસ્તારોમાં ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાતા ચકચાર મચી ગઈ છે. મોરબી તાલુકાના ટીંબડી ગામમાં યુવક અચાનક બેભાન થતાં મોત, માળીયા(મી)ના મોટા ભેલા ગામમાં વૃદ્ધ મહિલાનું સારવાર દરમ્યાન અવસાન અને હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા કિશોરીનું મોત થતાં પોલીસે અ. મોતની નોંધ કરી છે.
પ્રથમ અમૃત્યુની ઘટનામાં ટીંબડી ગામમાં રહેતા સંદીપભાઇ રામજીભાઇ ચાવડા ઉવ.૩૨ પોતાના ઘરે ગઈકાલ તા.૦૬/૦૨ના રોજ વહેલી સવારે કોઈ અચાનક કારણોસર બેભાન થઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તેમના ભાઈ રમેશભાઇ રામજીભાઇ ચાવડાએ પોલીસમાં જાણ કરી હતી. હાલ પોલીસે અ.મોત રજિસ્ટર કરી છે.
જ્યારે બીજો અપમૃત્યુના બનાવમાં, માળીયા(મી)ના મોટા ભેલા ગામમાં રહેતા જસુબેન રેવાભાઇ પુનાભાઇ ખીંટ ઉવ.૭૦નું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક જસુબેનને છએક મહિના અગાઉ કોઈ પ્રાણી નોળીયા જેવા પ્રાણી દ્વારા પગમાં દંશ લાગ્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમને હડકવાના લક્ષણો દેખાતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે તેમના પુત્ર જગદીશભાઇએ પોલીસમાં જાણ કરી હતી.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હળવદના રણજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા ૧૬ વર્ષીય કિશોરીનું મોત થયું છે. મરણજનાર રવિનાબેન લિહકાભાઇ ઠોંગીયાભાઇ વસાવે ગઈકાલ ૦૬/૦૨ ના રોજ કેનાલના કાંઠે બેસીને મોબાઇલમાં વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલ ફોન કેનાલમાં પડી જતા ફોન લેવા જતા લપસી પડતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તેમના પિતાએ પોલીસમાં જાણ કરી હતી. ત્યારે હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.









