મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની બાકી ઉઘરાણી માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી દર શનિવાર અને રવિવારે પણ મિલકતવેરો સ્વીકારવામાં આવશે. વેરો ન ભરનાર મિલકતધારકો પર ૧૮% વ્યાજ લાગુ થશે તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી મિલકતવેરા અને અન્ય ટેક્સની ઉઘરાણી માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નાગરિકોને સુવિધા મળે તે માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ વિવિધ ૧૧ ક્લસ્ટર ઓફિસોમાં ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી દર શનિવાર અને રવિવારે પણ મિલકતવેરો સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા બાકીદારો સામે વોરંટ અને સીલિંગ જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૦ મિલકતો સીલ કરવામાં આવી છે, જેમાંથી ૪૨ મિલકતધારકોએ ટેક્સ ભરપાઈ કરતા સીલ ખોલવામાં આવ્યું છે. આવનારા સમયમાં કોમર્શિયલ મિલકતો ટેક્સ ન ભરતા સીલ કરવામાં આવશે તેમજ રહેણાંક મિલકતોમાં ૧૦ હજાર રૂપિયાથી વધુ બાકી હોય તો નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઓનલાઈન પદ્ધતિથી પણ વેરો ભરવાની સુવિધા આપવામાં આવી છે. નાગરિકો https://mmcgujarat.in વેબસાઈટ અથવા પ્લે સ્ટોર પરથી “Morbi Municipal Corporation” એપ ડાઉનલોડ કરી મિલકત નંબર દાખલ કરીને પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરો સરળતાથી ઓનલાઈન ભરી શકે છે. ઉપરાંત મહાનગરપાલિકા કચેરીમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ સુધી તેમજ રૂમ નં. ૯ માં પીઓએસ મશીન દ્વારા પણ વેરો સ્વીકારવામાં આવે છે. મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરવા જાહેર અપીલ કરી છે.









