વાંકાનેરના નવાપરા વિસ્તારમાં બહેનના ઘરે મળવા ગયેલ પરિણીતાને પતિ, સાસુ અને સસરાએ બોલાચાલી બાદ બેફામ માર માર્યો હતો. ઘટનામાં પરિણીતાને માથા સહિત શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે મોરબીથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સાથે પીડિતાએ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેરના નવાપરા શેરી નં.૨માં રહેતા નિશાબેન બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા ઉવ.૨૧એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી તરીકે પોતાના પતિ બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા, સાસુ પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા અને સસરા હરેશભાઈ માનસિંહભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા.૨૨/૦૩ના રોજ સાંજે તે પોતાની બહેન ભાવનાબેનના ઘરે જઈ પરત ફરી ત્યારે તેના પતિએ બહેનના ઘરે જવા મામલે ઉશ્કેરાઈ બોલાચાલી કરી હતી. બાદમાં પતિએ માથા અને શરીરના ભાગે ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ગળામાં નખથી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ સાસુ અને સસરાએ પણ નિશાબેનને હોઠ, માથા અને શરીરના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તે દરમિયાન ડેજારો થતા પડોશીએ વચ્ચે પડી નિશાબેનને વધુ મારથી બચાવ્યા હતા. જે બાદ નિશાબેનને તેમના ભાઈ પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારે આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે આરોપી પતિ સહિત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









