પઠાણી ઉઘરાણી અને ધમકીઓ આપતા વ્યાજખોર દંપતી સામે ગુનો નોંધાયો.
મોરબીમાં વ્યાજખોરીનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ઓરકેસ્ટ્રા કલાકારે વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે લીધેલ રકમના બદલામાં મુદલ અને વ્યાજ મળીને લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં ગીરવે રાખેલ સોનાના દાગીના, સહી કરેલ કોરા ચેક અને બેન્જો પરત ન આપતા તેમજ અન્ય મહિલાને વ્યાજે રૂપિયા આપ્યા તેની ચુકવણી કરી આપેલ હોવા છતાં ગીરવે રાખેલ મોટર સાયકલ પરત ન આપનાર તથા ધમકીઓ અને બળજબરીપૂર્વક ઉઘરાણી કરનાર વ્યાજખોર દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
મોરબી શહેરના જેલ રોડ વિસ્તારમાં અનુજાતીવાસ શેરી નં.૬ માં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ ઉવ.૪૦ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને તેમના પત્ની રહે. બંને રહે. મોરબી-૨ ત્રાજપર ટી.કે.હોટલ સામે લક્ષ્મી એપાર્ટમેન્ટ-૨ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, વર્ષ ૨૦૨૧માં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલી ફાઈનાન્સની ઓફિસેથી આરોપી ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી પાસેથી રૂ. ૨.૪૦ લાખ વ્યાજે લીધા હતા. સમયાંતરે વ્યાજ અને મુદલ મળીને રૂ. ૭.૬૭ લાખથી વધુ રકમ ચૂકવી હોવા છતાં આરોપીએ સોનાના દાગીના અને સહી કરેલા કોરા ચેક પરત આપ્યા નથી. આ સિવાય એક મહિને વ્યાજ ચૂકવેલ ન હોય ત્યારે ઉઓરોકટ ઓફિસમાં ફરિયાદીને ગોંધી રાખ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સિવાય ફરિયાદીએ પોતાનો બેન્જો પણ ગીરવે આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે, જે પણ હજુ સુધી પરત આપ્યો નથી.
આ ઉપરાંત ફરિયાદીના કૌટુંબિક બહેનને પણ આવી જ રીતે ઉંચા વ્યાજે રકમ આપી તેમની પાસેથી વધુ રકમનું લખાણ કરાવી ચેકો અને મોટરસાયકલ બળજબરીપૂર્વક લઈ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપી ભાવિનભાઈ ત્રિવેદી અને તેમના પત્ની સામે આઈપીસી કલમ તથા નાણા ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









