Thursday, May 14, 2026
HomeGujaratમોરબીના ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ

મોરબીના ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ

વડોદરાના વડસર ખાતે યોજાયેલા ભવ્ય સાહિત્યિક સમારોહમાં રાજ્ય એવોર્ડી શિક્ષિકા અને બાળસાહિત્યકાર “શ્રી” નું ઉપનામ ધરાવતા જીવતીબેન બચુભાઈ પીપલિયાના એકસાથે ત્રણ પુસ્તકોનું રાઘવજીભાઈ માધડ સાહેબ, ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, પિનાકીનભાઈ પારેખ તેમજ અમૃતભાઈ બાઈન્ટાઈનવાલાના શુભ હસ્તે હર્ષોલ્લાસભેર વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત સાહિત્યરસિકો, શિક્ષકો, કવિઓ, લેખકો અને મહાનુભાવોએ સર્જન અને સંસ્કારના આ ઉત્સવને ભાવભેર વધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વિમોચિત થયેલા ગ્રંથોમાં “સ્નેહની ગાંઠ” વાર્તાસંગ્રહ, “સ્નેહ સરિતા” કાવ્યસંગ્રહ તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત બાળગીતસંગ્રહ “પરીબાઈની પાંખે”ના કચ્છી અનુવાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ૧૩ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સાહિત્યના મહાકુંભ સમાન બની રહ્યો હતો.

“સ્નેહની ગાંઠ” વાર્તાસંગ્રહ અને “સ્નેહ સરિતા” કાવ્યસંગ્રહમાં માનવીય સંબંધોની ઉષ્મા, લાગણીઓની ઊંડાઈ અને જીવનના સંવેદનશીલ પ્રસંગોને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યા છે. માતા-પિતાનો ત્યાગ, ભાઈ-બહેનનો પ્રેમ, દાદા-દાદીની મમતા, મિત્રતાની મધુરતા તેમજ જીવનના આંતરિક સંઘર્ષોને સરળ, સંવેદનાત્મક અને અસરકારક ભાષામાં વ્યક્ત કરવામાં આવ્યા છે.

બાળગીતસંગ્રહ “પરીબાઈની પાંખે”નો કચ્છી અનુવાદ બાળમનની નિર્દોષતા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને ઉજાગર કરતું ઉત્તમ બાળસાહિત્ય સાબિત થાય છે. બાળમિત્ર ભાષા અને સંસ્કારસભર અભિવ્યક્તિના કારણે આ કૃતિ બાળકોમાં વાંચનપ્રેમ, સકારાત્મક વિચારસરણી અને સર્જનાત્મકતાનું સંવર્ધન કરે છે.

અમરેલી જિલ્લાના પીઠડીયા ગામે જન્મેલા જીવતીબેન પીપલિયા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. રાજ્ય શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડ સહિત અનેક સન્માનો પ્રાપ્ત કરનાર જીવતીબેન બાળસાહિત્ય, ગઝલ, વાર્તા અને કાવ્યલેખનમાં સતત સક્રિય છે. તેમનું બાળગીતસંગ્રહ “પરીબાઈની પાંખે” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૨માં તૃતીય શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત થયું હતું.

લોકડાઉન સમયગાળા દરમિયાન શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રાએ ટૂંકા સમયમાં જ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. તેમની અન્ય મહત્વપૂર્ણ કૃતિઓમાં “હાથીદાદાની જય હો”, “નટખટ” (શ્રીકૃષ્ણ જીવનચરિત્ર) અને “આવો, કહું એક વાર્તા” જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. સંપાદન ક્ષેત્રે પણ તેમણે “દેશથી પરદેશ સુધી”, “પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત”, “ઝળહળતા તારલા” અને “જાદુઈ જપ્પી” જેવા ગ્રંથોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.શિક્ષણ અને સાહિત્ય સાથે ડિજિટલ માધ્યમમાં પણ જીવતીબેનનું યોગદાન પ્રેરણાદાયી રહ્યું છે. તેમની લોકપ્રિય YouTube ચેનલ “હું અને મારા બાળકો”ને એક લાખથી વધુ સબ્સ્ક્રાઇબર પ્રાપ્ત થતા સિલ્વર બટનથી સન્માનિત કરવામાં આવી છે. શિક્ષણ, સાહિત્ય, યોગ, સંસ્કાર અને સમાજસેવાના ક્ષેત્રે તેમનું કાર્ય અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ જીવતીબેન પીપલિયા ‘શ્રી’ના સર્જન, શિક્ષણ અને સમાજસેવાના યોગદાનને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સાહિત્યપ્રેમ, સંવેદના અને સર્જનાત્મકતાનું સુંદર સંગમ બની રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!