પૂરતો ઘાસચારો, પાણી અને સારવાર ન મળતી હોવા અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ.
ગૌરક્ષક મોરબીએ મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદી ઘરમાં ગૌવંશની યોગ્ય સંભાળ ન રાખવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પૂરતો ઘાસચારો અને સારવારના અભાવે દરરોજ ૨થી ૪ ગૌવંશના મૃત્યુ થતાં હોવાનો દાવો કરી તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ગૌરક્ષક મોરબી દ્વારા મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદી ઘરની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સંસ્થાના જણાવ્યા મુજબ નંદી ઘરમાં ગૌવંશને જરૂરી પ્રમાણમાં ઘાસચારો, સ્વચ્છ પાણી અને યોગ્ય તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. એક નંદીને દૈનિક આશરે ૩૦ કિલો ઘાસચારો મળવો જોઈએ, પરંતુ માત્ર ૧૮થી ૨૦ કિલો ઘાસચારો આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કારણે દરરોજ અંદાજે ૨થી ૪ ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પૂરતી વ્યવસ્થા, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગૌરક્ષક મોરબીએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






