મોરબી- વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બાઇક સવાર પતિ-પત્નીને અકસ્માત નડ્યો હતો, જેમાં રોંગ સાઈડમાં બાઇક લઈને જતા હોય ત્યારે સામેથી આવતી બ્રેઝા કાર સાથે બાઇક અથડાઈ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પત્નીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે પત્નીની ફરિયાદને આધારે બાઇક ચાલક મૃતક વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરી સામે ગઈ તા.૩૦ અપ્રિલના રોજ અકસ્માતની ઘટના બની હતી, જેમાં મોરબીના વજેપર શેરી નં.૯ માં રહેતા વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા ઉવ.૫૭ અને તેમના પત્ની ગીતાબેન વાલજીભાઈ ચાવડા બન્ને પતિ-પત્ની બજાજ કંપનીનુ બ્લુ કલરનુ ડિસ્કવર મોડેલનુ જેના રજી.નં. જીજે-૦૩-ડીઈ-૧૯૫૨ વાળું લઈને જતા હોય ત્યારે બાઇક ચાલક વાલજીભાઈએ પોતાનું બાઇક મોરબી-વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રોંગ સાઇડમા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોરબી તરફથી પોતાની સાઇડમા આવતી બ્રેજા કાર જેના રજી નંબર જીજે-૧૮-બીએચ-૦૦૦૮ વાળી સાથે સામેથી ભડકાડી અકસ્માત સર્જ્યો હતો, જેમાં પતિ-પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગીતાબેનને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પતિ વાલજીભાઈને પગમા ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે ગીતાબેનની ફરિયાદને આધારે બાઇક ચાલક આરોપી મૃતક વાલજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે