મોરબીમાં રહેતા ઠંડા પીણા કોલ્ડ્રીક્સની સેલ્સ એજન્સી ચલાવતા વેપારીએ તા.૧૧ એપ્રિલના રોજ પોતાની ઓફિસમાં જંતુનાશક દવા પીધી હતી જે બાદ તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓ ૧૨ એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના ખીસામાંથી મળી આવેલી ત્રણ પાનાની સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને આધારે હાલ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના નવલખી રોડ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય નિલેશભાઈ હરેશભાઈ મકવાણાએ તેમના હિતેષ માર્કેટિંગ કોલ્ડ્રીક્સ સેલ્સ એજન્સીની ઓફિસમાં તા.૧૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી હતી. જીવનથી કંટાળીને આ પગલું ભર્યા બાદ તેમણે પોતાના નાના ભાઈ જીજ્ઞેશભાઈને ફોન કરીને કહ્યું કે “હું કંટાળી ગયો છું, મેં દવા પી લીધી છે”. જેથી જીજ્ઞેશભાઈએ તેમના પિતા સાથે એક્ટીવા પર હોસ્પિટલ દોડી ગયા અને સારવાર શરૂ કરાઈ હતી દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન તા.૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ નિલેશભાઈ નું મોત થયું હતું.મૃતકના પાકીટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેઓએ જે જે વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેમાં નિલેશભાઈ ભીમાણી, રવિભાઈ દેવાભાઈ ડાંગર, પ્રકાશભાઈ પીથામલ, રવિભાઈ રાજેશભાઈ જાલરીયા, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા,યોગીરાજસિંહ જાડેજા(જે હાલ વલસાડ પોલીસમાં ફરજ બજાવે છે), કીરીટસિંહ જાડેજા,મયુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા એમ તમામ પાસેથી લીધેલા રૂપિયા માટે વ્યાજખોરો વારંવાર હેરાન કરતા હોવાનું સ્પષ્ટ લખ્યું હતું.નિલેશભાઈએ વ્યાજ સહિત તમામ રકમ ચૂકવી દીધા બાદ પણ તેમની ઉપર સતત દબાણ અને હેરાનગતિ થતી હતી જેના પરિણામે આત્મહત્યા કરી છે.હાલ મૃતકના નાના ભાઈ જીજ્ઞેશભાઈની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે