મોરબી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સાથે જીલ્લા ‘કમલમ’ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કાર્યકર્તાઓને સંબોધતા નવા કાર્યાલયને સંગઠન માટે ‘મંદિર’ સમાન ગણાવ્યું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મજબૂત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે મોરબી જીલ્લા ભાજપના નવા ‘કમલમ’ કાર્યાલયનો વિધિવત પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. જીલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લા ભાજપના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરીને તેમને સંગઠનાત્મક કાર્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. તેમણે નવનિર્મિત ‘કમલમ’ કાર્યાલય અંગે જણાવ્યું હતું કે, આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે માત્ર ઓફિસ નહીં પરંતુ એક ‘મંદિર’ સમાન બની રહેશે. અહીંથી સંગઠનનું મજબૂત ઘડતર થશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન, તાલીમ અને સંકલન માટે એક સ્થાયી કેન્દ્ર મળશે.
આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ અંગે તેમણે પ્રબળ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તમામ કાર્યકર્તાઓ એકજુટ થઈને કાર્ય કરશે અને ભાજપને મજબૂત પરિણામ અપાવશે તેવો પૂરેપૂરો વિશ્વાસ છે. સારા અને સમર્પિત કાર્યકર્તાઓને આવકારવાનો આ કાર્યક્રમ એક અનોખો ઉત્સવ બની રહ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ સહ-કોસાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મહિલા મોરચા અગ્રણી દીપિકાબેન સરડવા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી, મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









