ટંકારાની લજાઈ ચોકડીએ કારખાનામાં કામ દરમિયાન બે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામાં એક શ્રમિકે બીજા શ્રમિકને તારપીન વડે આંખમાં ઘા મારી દેતા ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ ત્રણ દિવસની સારવારમાં દમ તોડી દેતા મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ હત્યાના બનાવ અંગે મૃતકના કાકાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે હત્યારા સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હત્યાના બનાવ અંગે મૃતક યુવકના કાકા મુન્નાલાલ પ્યારેલાલ વર્મા ઉવ.૫૨ રહે.ભૂરાનેપુરાવા ગામ ઉત્તરપ્રદેશ વાળાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી અંગદ કૈલાસ રાજભર હાલ રહે. ટંકારાના લજાઇ ભરડીયા રોડ ઉપર દેવ પોલીપેક કારખાનાની લેબર કોલોની મૂળ રહે. ઉત્તરપ્રદેશ રાજ્યના મંગલપુર ટોલા ધાતુર ખાસ થાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીના ભત્રીજા કમલચંદ્ર ઉર્ફે પિન્ટુ વર્મા ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી નજીક આવેલ દેવ પોલીપેક કારખાનામાં કામ કરતા હોય ત્યારે ગત તા.૨૭/૧૦ ના રોજ રાત્રીના પોલીપેક કારખાનામાં કામ દરમિયાન સાથી કર્મચારી આરોપી અંગદ રાજભર સાથે ઝઘડો થતા, આરોપીએ એકદમ ઉશ્કેરાઈને કમલચંદ્ર ઉર્ફે પિન્ટુને આંખમાં દોર પોરવવાની તારપીનનો ઘા મારી દેતા, કમલચંદ્ર ઉર્ફે પિન્ટુને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તા.૩૦/૧૦ના રોજ રાત્રીના કમલચંદ્ર ઉર્ફે પિન્ટુનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ હત્યાના બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી અંગદ રાજભર વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૩(૧) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હત્યારાની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.









