લોહાણા સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી ખાતે લોહાણા સમાજની તમામ સંસ્થાઓનું વિશાળ અને સુમેળભર્યું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન દ્વારા શ્રી લોહાણા મહાજન સંસ્થાને વધુ સશક્ત, સક્રિય તથા વિકાસશીલ બનાવવાનો સંકલ્પ સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.
મોરબીના નવા ડેલા રોડ સ્થિત વિશાશ્રી વાડી ખાતે આજ રોજ લોહાણા સમાજનું ભવ્ય સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોની લોહાણા સમાજની તમામ નામાકિંત સંસ્થાઓના આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓ અને સમાજસેવી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અને લોહાણા સમાજની તમામ સંસ્થાઓ તથા સમાજના આગેવાનો હવેથી એક થઈ સમાજના દરેક કાર્યમાં જોડાશે અને જ્ઞાતિમાં સંપ રહે તેવા તમામ પ્રયત્નો કરશે અને યુવાનોને માર્ગદર્શન આપશે સાથે જ શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, સેવા અને સામાજિક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પર બિરાજમાન સમાજના મોભીઓ અને શ્રેષ્ઠીઓની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સ્નેહ મિલન દરમિયાન મોરબીના લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી શ્રી લોહાણા મહાજન સંસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર સહકાર કેવી રીતે વધુ મજબૂત બને તેમજ યુવાનો, મહિલાઓ અને આગામી પેઢીને સંગઠન સાથે જોડીને સમાજને નવી દિશા કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ પર ગંભીર અને રચનાત્મક ચિંતન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મહાજન પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી તથા મહાજનની વર્તમાન ટીમ દ્વારા સમાજની સર્વસંમતિથી નવા મહાજન મંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સમાજના અનુભવી અને સેવાભાવી આગેવાન અશોકભાઈ કાથરાણીની પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે જમનભાઈ હિરાણી તથા મહામંત્રી તરીકે પ્રફુલભાઈ પોપટની નિમણૂંક જાહેર કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે નવા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમના નેતૃત્વમાં મહાજન સંસ્થાના વિકાસ માટે એકસાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મહાજન મંડળના પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, નીતિનભાઈ પોપટ, હરીશભાઈ રાજા તથા તેમની સમગ્ર ટીમનું મોરબી લોહાણા સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું તથા નવા મહાજન મંડળને વતઁમાન ટીમે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પૂર્વ મહાજન સાથે સંકળાયેલા ૨૫ સભ્યોએ એકસૂરથી ટેકો જાહેર કરી, કાયદાકીય અને સંવિધાનિક પ્રક્રિયા મુજબ જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી સમાજને નવા મહાજન મંડળની રચના માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. આ એકતા અને સમર્પણ સમાજ માટે એક સકારાત્મક અને ઐતિહાસિક પગલું ગણાયું હતું. સમગ્ર કાર્યક્રમ સ્નેહ, એકતા અને સમાજના સર્વાંગી વિકાસના ભાવ સાથે સંપન્ન થયો હતો. અંતે ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોએ લોહાણા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને “એકતા માં શક્તિ”ના સૂત્ર સાથે સમાજને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.









