વાંકાનેરમાં સરદાર વલ્લભભાઈ પટેલના ૧૫૦માં જન્મવર્ષને ઉજવતા ‘એકતા-પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લોહપુરુષના જીવનમૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવા માટે યોજાયેલ આ યાત્રામાં લોક પ્રતિનિધિઓ, સમાજ આગેવાનો અને નાગરિકોના સહભાગથી દેશભક્તિનો માહોલ સર્જાશે.
વાંકાનેર ખાતે આજે તા.૧૮/૧૧ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સરદાર@150- યુનિટી માર્ચ’ રૂપે એકતા-પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. “એક ભારત-આત્મનિર્ભર ભારત”નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો હેતુ સાથે આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીવર્ગ, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો છે. આપણા લોહપુરુષ સરદાર સાહેબના અવિસમરણીય વારસો, તેમના વ્યક્તિત્વ, જીવનમૂલ્યો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરતા આ કાર્યક્રમની શરૂઆત કિરણ સિરામિક (રાતીદેવડી)થી સવારે ૮ વાગ્યે કરવામાં આવશે અને આ એકતા પદયાત્રાનું સમાપન ટાઉનહોલ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે થશે. આ ઐતિહાસિક પ્રસંગે સંસદસભ્ય કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, તાલુકા પંચાયતના પ્રમુખ કૈલાશબા ઝાલા, નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. મુખ્ય વક્તા તરીકે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી આગેવાની સંભાળશે. આ એકતા પદયાત્રામાં જોડાવવા વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









