મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોવાની ઘટના સામે આવી છે. ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં જીઈબીનો ચાલુ સર્વિસ વાયર તૂટી પડતા બે વાહનો આગમાં બળી ગયા હતા.
મળતી માહિતી મુજબ, ગત રાત્રે અંદાજે 3:30 વાગ્યાના સમયે સર્વિસ વાયર તૂટી ઘરનાં ફળીયામાં પડી ગયો હતો, જેના કારણે નીચે પાર્ક કરેલા બે વાહનોમાં આગ લાગી હતી અને બંને વાહનો બળીને ખાક થઈ ગયા હતા. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બનતા જ મકાન માલિક દ્વારા જીઈબી કચેરીમાં ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જોકે ગંભીર ઘટના હોવા છતાં રાત્રિના સમયે કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યા નહોતા. માત્ર બે લાઈનમેન સ્થળ પર આવી બળેલો સર્વિસ વાયર કાપીને પરત ફર્યા હતા. ઘટનાના કલાકો બાદ સવારે જીઈબીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો.









