જીલ્લાના પદાધિકારીઓએ વહીવટી તંત્રની જનહિતકારી કામગીરીની સરાહના કરી.
મોરબીમાં જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્યો દ્વારા રાજકોટ – મોરબી રૂટમાં બસની સંખ્યા વધારવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જીલ્લામાં કોઈ અધિકારીઓ નાંણાકીય ઉચાપાત ન કરે તથા સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત પર ભાર મૂકી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીઓ દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જીલ્લા કલેક્ટરે વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે મચ્છુ-૨ ડેમના દરવાજા રીપેર કરવા બાબતે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
મોરબી જીલ્લાના પદાધિકારીઓએ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી બાબતે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાહિત તેમજ જનકલ્યાણકારી કામગીરીની પણ સરાહના કરી હતી. આ બેઠકમા જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસર તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.