Friday, April 26, 2024
HomeGujaratરાજ્યમાં ફાયર સેફ્ટિની નવી વ્યવસ્થા ઘડવામાં આવી, 26મી જાન્યુઆરીથી લાગુ થશે :...

રાજ્યમાં ફાયર સેફ્ટિની નવી વ્યવસ્થા ઘડવામાં આવી, 26મી જાન્યુઆરીથી લાગુ થશે : CM રૂપાણી

રાજ્યમાં ડાયરેક્ટર ઑફ ફાયરની પોસ્ટ ઊભી કરાઈ, ચાર ઝોનના ચાર ફાયર ઑફિસર નિમણૂક કરાશે

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં આગની મોટી ઘટનાઓને રોકવા માટે રાજ્યમાં નવી ફાયર પોલીસી ઘડવામાં આવી છે. રાજ્યમાં 26મી જાન્યુઆરીથી આ ફાયર સેફ્ટીની નવી પોલિસી લાગુ થશે. ફાયર સેફ્ટિ માટે હવે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે અને તંત્ર મજબૂત કરવામાં આવશે. રાજ્યમાં ડાયરેક્ટર ઑફ ફાયરની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને રાજ્યના 4 ઝોનના આ ચાર ડાયરેક્ટર ઑફ ફાયર કાર્યરત રહેશે. તેઓ આ ઝોનના તમામ ફાયર બ્રિગેડ સ્ટેશનનોના વડા રહેશે.

CM રૂપાણી રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

CM રૂપાણીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે. રૂપાણીએ એવો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે.આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. CM રૂપાણીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે.

આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે. CM રૂપાણી રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે.એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે.CM રૂપાણીએ જણાવ્યું કે, આપણે તો લોકોની સેફટી-સિકયુરિટી અને સાથે ઇઝ ઓફ લીવીંગમાં પણ વૃદ્ધિ થાય તેવો અભિગમ અપનાવ્યો છે.

લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસ લેશ સેવાઓ વિકસાવતા જઇએ છીયે.ગુજરાતમાં ODPS ના સફળ અમલ પછી હવે દેશમાં વધુ એક નવતર ડગલું આપણે ભર્યું છે.ફાયર NOC લેવા માટે લોકોને કચેરીઓમાં જવુ જ ન પડે તે માટે પારદર્શીતા લાવવા ફાયર સેફટી કોપ-ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે.આ પોર્ટલ પર નવા ફાયર સેફટી NOC, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે. આ આખીયે ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થાને કોમ્પ્લેકસીટી નહિ સિમ્પલીસિટી-સરળ અને સહજ તથા આખા રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે.ફાયર સેફટી ઓફિસરે દર 6 મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. રાજ્ય સરકારે આ હેતુસર ફાયર સેફટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જીનીર્યસની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલડીંગ્સ માટે ફાયર સેફટી ઓફિસર માટેના વ્યાપક ચેકલીસ્ટ વિકસાવી 220 સ્ટાન્ડર્ડ ચેકલીસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

CM રૂપાણી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક વાણિજ્યીક, વેપારી હરેક ક્ષેત્રે ઝડપથી વિકસતું દેશનું રોલ મોડેલ રાજ્ય છે. આ સર્વગ્રાહી વિકાસને પરિણામે આપણે ત્યાં લોકોને રહેવા, ઓફિસો, વ્યવસાયો માટે ઇમારતો-બિલ્ડીંગ્સની જરૂરિયાત રહે તે સ્વાભાવિક છે. આવી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ વગેરેમાં વસતા કે રોજબરોજ ધંધા-વ્યવસાય માટે આવતા નાગરિકોની આગ જેવી દુર્ઘટનાથી સલામતિ-સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી-ટોપ પ્રાયોરિટી છે.

તેમણે કહ્યું કે આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થાય, જાન-માલનું નુકશાન થાય એ રાજ્ય સરકાર કોઇ કાળે ચલાવી લેવા માંગતી નથી. આપણે આ માટે રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલ માટે પ્રતિબદ્ધ છીયે. કોઇ પણ બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશ સરકાર ચલાવશે નહિ. આવા મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે તેમજ સમયે સમયે તેનું રિન્યુઅલ થાય તે પણ આવશ્યક છે. સાથોસાથ માત્ર NOC આપીને બેસી રહેવાને બદલે ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરે, યોગ્યતા ચકાસે તેવો અભિગમ છે એમ તેમણે ઉમર્યુ હતું. સ્વાભાવિક છે કે, નગરપાલિકા-મહાનગરપાલિકા સરકારના અગ્નિશમન તંત્ર બધા પાસે આગની સિવાયની પણ કુદરતી કે માનવસર્જિત અપદામાં રાહત બચાવ કામગીરીનું ભારણ હોય છે. એ સંજોગોમાં ગુજરાતમાં આપણે એક નવિન પહેલ કરીને પ્રાયવેટ યુવા ઇજનેરોને તથા અગ્નિસમન ક્ષેત્રનો અભ્યાસ કરેલા યુવાનોને ફાયર સેફટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકટીસ-ઇમ્પેનલ્ડ કરવાનો નિર્ણય બે માસ પહેલાં કર્યો હતો.

તેમણે કહ્યું કે ફાયર સેફટીની શરૂઆત કોઇ પણ બિલ્ડીંગની ડીઝાઇનના તબક્કાથી જ થઇ જાય છે. ડેવલપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પુરૂં થઇ જાય પછી ફાયર સેફટી પ્રમાણપત્ર ત્યાર બાદ અગ્નિશમન વ્યવસ્થા બધું ચકાસ્યા પછી જ ફાયર સેફટી સર્ટીફિકેટ રિન્યુઅલ થશે.બિલ્ડીંગના મૂળ પ્લાનમાં બતાવ્યા મુજબ સમગ્ર લાઇફ ટાઇમ દરમ્યાન આ ફાયર સિસ્ટમ અસરકારક સ્થિતીમાં રહે તે માટે સમયાંતરે ઇન્સ્પેકશન કરીને જ સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. હવે તો નાના-મોટા શહેરો, નગરો, ગામો બધે જ મોટા મકાનો-ઇમારતો બની ગયા છે ત્યારે આવી ફાયર સેફટીનું સતત પરિક્ષણ થતું રહે તે આવશ્યક છે.

આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ફાયર કર્મીઓનું કામનું ભારણ ઓછું થાય અને નવા જોશ-જુસ્સાવાળા યુવા ઇજનેરો યુવાશકિતને વ્યવસાયની તક મળે તે માટે ખાનગી ફાયર સેફટી ઓફિસરોને કુશળ તાલીમ આપવાનો કન્સેપ્ટ અપનાવ્યો છે. આ માટે દેશની શ્રેષ્ઠ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થાઓમાં જેની ગણના થાય છે તેવી આપણી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ કોર્સ-તાલીમ અને ફાયર સેફટી સર્ટિફિકેટ વિશેની એક કોમ્પ્રીહેન્સીવ સિસ્ટમ ડેવલપ કરવાની જવાબદારી સોંપી હતી તેમ CM રૂપાણીએ જણાવ્યું હતું.

રૂપાણીએ જણાવ્યું કે, GIDMના શ્રી તનેજા અને તેમની ટીમે ફાયર સેફટી પ્રમાણપત્ર મંજૂરી, રિન્યુઅલ અને ટ્રેઇન્ડ હ્યુમન રિસોર્સીસ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પારદર્શી, સરળ અને કાર્યક્ષમ રીતે આપવાનો એક અહેવાલ રાજ્ય સરકારને આપેલો છે. રાજ્ય સરકારે પણ આ માટે CM રૂપાણીના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ મંત્રીઓ, સંબંધિત અધિકારીઓ, ફાયર ઓફિસરોની શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને અને GIDM એ પણ દિલ્હી, ગોવા, કેરળ, જેવા રાજ્યો, સિંગાપોર, યુ.કે ના દેશોની પ્રક્રિયા અને પદ્ધતિઓનો બારીકાઇથી અભ્યાસ કરીને રાજ્યમાં આપણે આ નવી પદ્ધતિ રાજ્યમાં આગામી 26 જાન્યુઆરી થી શરૂ કરવા જઇ રહ્યા છીયે.

રાજ્યમાં જે યુવાનોને ફાયર સર્વિસ ક્ષેત્રે પોતાની કારર્કિદી ઘડવી છે તેવા હોનહાર ફાયર સેફટી ઓફિસરોને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીયુટ ફોર ફાયર સેફટી ટ્રેનિંગ દ્વારા અપાતી સઘન તાલીમ મેળવી યોગ્યતા પરિક્ષામાં ઉર્તિણ થઇને જ ફાયર સેફટી ઓફિસરો તરીકે ઇમ્પેનલ્ડ કરવામાં આવશે. આવી તાલીમ ૧ વાર લઇને ફાયર ઓફિસર તરીકે ઇમ્પેનલ્ડ થયા પછી દર ૩ વર્ષ તેમને રિફ્રેશર તાલીમ પણ પસાર કરવી પડશે અને પોતાનું સ્કીલ-નોલેજ અપગ્રેડ કરતા રહેવું પડશે, તેમ તેમણે જણાવ્યું હતું.

CM રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં બિલ્ડીંગ-મકાનોની કેટેગરી અનુસાર આ ફાયર સેફટી ઓફિસરોની તાલીમનું કલાસીફિકેશન પણ કર્યુ છે. જનરલ, એડવાન્સ અને સ્પેશ્યાલીસ્ટ એવી ત્રણ કેટેગરીમાં તેમને તાલીમ આપવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે જનરલ કેટેગરીમાં જેમને તાલીમ લેવી હોય તેવા યુવાઓ માટે કોઇ અનુભવની જરૂરિયાત રહેશે નહિ-જે યુવા ઇજનેરોને ફાયર સેફટી અધિકારી તરીકેની એડવાન્સ તાલીમ લેવી હોય તેમના માટે પાંચ વર્ષનો અને વિશિષ્ટ-સ્પેશ્યાલીસ્ટ તાલીમ લેનારા માટે પાંચથી ૧૦ વર્ષનો અનુભવનો ક્રાઇટેરીયા રાખવામાં આવ્યો છે.

આવા તાલીમબદ્ધ યુવાનો ફાયર સેફટી ઓફિસરોને તેમના ગ્રેડ, અનુભવ અને યોગ્યતાના આધારે જવાબદારી સોપવામાં આવશે. FSO જે મકાનો-બિલ્ડીંગોનું ફાયર NOC રિન્યુ કરે તેની રેન્ડમ તપાસ ફાયર ઓફિસર કરીને એ સુનિશ્ચિત કરશે કે એ પ્રમાણપત્ર આપતા પહેલાં બધા જ સેફટી પેરામિટર ધ્યાનમાં લેવાયા છે કે નહી. જો એમાં કોઇ ચૂક થયેલી જણાશે તો ફાયર સેફટી ઓફિસર સાથો સાથ ઓનર બિલ્ડર, કબજેદાર સામે પેનલ્ટી-દંડનીય કાર્યવાહી પણ સરકાર કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. આ સરકાર લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડા થાય-નુકશાન થાય તે ચલાવી લેવા માંગતી નથી. CM રૂપાણી રૂપાણીએ જણાવ્યું કે આ સમગ્ર પદ્ધતિ રાજ્યમાં પ્રવર્તમાન ફાયર સેફટી રેગ્યુલેશન અને નોર્મ્સને વધુ સુગ્રથિત કરે તેવી અનુકૂળ બનાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!