મોરબી જીલ્લામાં એક જ દિવસે અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવમાં ચાર વ્યક્તિના મોત થયા છે. જેમાં રંગપરમાં સિમેન્ટનું પતરું તૂટતા યુવાન નીચે પટકાયો, પાનેલીમાં સીરામીકની દિવાલ પડતાં શ્રમિકનું મોત થયું, જ્યારે ટંકારાના જોધપર ઝાલામાં વીજ મોટર રિપેરિંગ દરમિયાન કરંટ લાગવાથી વૃદ્ધનું અને હળવદના ટીકરમાં વીજ લાઈનનું કામ કરતી વખતે કરંટ લાગવાથી યુવાનનું મોત થયું હતું.
મોરબી તાલુકાના રંગપર ગામે કાનજી વિક્રમભાઈ પરમાર ઉવ.૨૨ રહે. રફાળેશ્વર વાળા સિમેન્ટના પતરામાં કચરો સાફ કરી રહ્યા હતા. દરમિયાન સિમેન્ટનું પતરું તૂટી જતા તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. બીજી અપમૃત્યુની ઘટનામાં પાનેલી ગામની સીમમાં આવેલી કેડા સીરામીકમાં આરીફઅલી આલમગીર ઉવ.૨૩ રહે. લાલપર તા.જી.મોરબી વાળા ગઈકાલે કામ કરી રહ્યા હતા. દરમિયાન કોઈ કારણસર દિવાલ ધરાશાયી થતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું.
આ ઉપરાંત અપમૃત્યુની ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે ૬૭ વર્ષીય ઘનશ્યામસિંહ જુવાનસિંહ ઝાલા પોતાની વાડીની બાજુમાં ઈલેક્ટ્રિક મોટરનું રિપેરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વીજ શોક લાગતાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અપમૃત્યુના ચોથા બનાવ અંગે પ્રલત વિગતો અનુસાર, હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં નારાયણભાઈ પ્રેમાભાઈ કથાટ ઉવ.૨૯ રહે. હળવદ રઘુનંદન ટાઉનશીપમાં રહેતા, મૂળ ઘરકલા જી.બ્યાવર રાજસ્થાન વાળા વીજ થાંભલા પર વીજ લાઈનનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા. દરમિયાન અકસ્માતે વીજ શોક લાગતાં તેમનું ઘટનાસ્થળે/બનાવ બાદ. મોત થયું હતું. હાલ ચારેય મૃત્યુના બનાવ અંગે મોરબી પોલીસે અ.મોતની નોંધ કરી છે






