મોરબી શહેરમાં આજે ધાર્મિક આસ્થાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં અષાઢી બીજના પાવન દિવસે મચ્છુ માતાજીની પરંપરાગત શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
સદીથી વધુ સમયથી ચાલી આવતી આ શોભાયાત્રા મોરબીના ધાર્મિક ઇતિહાસનો અગત્યનો ભાગ રહી છે.
અષાઢી બીજને મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે.મચ્છુ માતાજી પર શ્રદ્ધા ધરાવતા માલધારી સમાજના હજારો લોકો આજે મોરબી શહેરની શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા.શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતી શોભાયાત્રામાં પરંપરાગત હુડો રાસ અને ભક્તિભાવથી ભરેલી રમઝટ જોવા મળી રહી હતી.શોભાયાત્રામાં કોઈ અઘટિત બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસ વડા ખુદ બંદોબસ્ત માં જોડાયા હતા અને રથયાત્રાના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તેમજ શોભાયાત્રાને લઈને કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.દર વર્ષે અષાઢી બીજના દિવસે આયોજિત થતી શોભાયાત્રા મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ અનુસંધાને યોજાય છે અને માલધારી સમાજની આસ્થા સાથે જોડાયેલો પવિત્ર અવસર ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.