મૃતક શ્રમિકની પત્નીની ફરિયાદને આધારે બાઇક ચાલક સામે ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના ઘનશ્યામપુર નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતાં ડબલ સવારી બાઇક સ્લીપ થતાં પડી ગયેલા શ્રમિક ઉપર ટ્રેક્ટર ટ્રોલીનું વ્હીલ ફરી વળતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે બાઇક ચલાવનાર સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ગોલાસણ રોડ પર થયેલા અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોલાસણ ગામની સીમમાં અરવિંદભાઈ માણાવદરિયાની વાડીમાં રહેતા મૂળ મેહણી ગામ તા.કઠીવાડા મધ્યપ્રદેશ વાળા રેશલીયાભાઈ કલસિંહ ભીલ ગઈકાલ તા.૧૪/૦૩ના રોજ વાડીમાં બાજુની ઓરડીમાં રહેતા અજીતભાઈ સુરેશભાઈ ધાણક સાથે શેઠનું મોટરસાઇકલ રજી.નં. જીજે-૧૩-કેકે-૮૧૭૮ લઈને મોબાઇલ રિપેર કરાવવા હળવદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘનશ્યામપુર નજીક ગોલાસણ રોડ પર આગળ જતા ટ્રેક્ટર રજી. નં. જીજે-૩૬-એસી-૪૨૮૪ અને તેની પાછળ જોડાયેલ ટ્રોલી રજી. નં. જીજે-૧૩-૯૯૩૩ને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા બાઇક અચાનક સ્લીપ થઈ ગયું હતું. જેથી બાઇક પરથી નીચે પડી ગયેલા રેશલીયાભાઈ ઉપર ટ્રોલીનું પાછળનું વ્હીલ ફરી વળતાં તેમની છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતકની પત્ની દિનાબેન રેશલીયાભાઈ ભીલે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મોટરસાઇકલ ચાલક અજીતભાઈ સુરેશભાઈ ધાણક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









