માળીયા(મી) તાલુકાના નવલખી પોર્ટ ખાતે આવેલ પ્લોટ નં.૧૦-સી માં ટ્રક ટ્રેઇલરની ઠોકરે કોલસાની ટ્રકમાં તાલપત્રી બાંધવાની મજૂરી કામ કરતા શ્રમિક યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. ત્યારે મૃતકના પિતાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુજના વવાણીયા ગામે રહેતા સીદીકભાઈ ઇશાભાઈ ઉમરભાઈ બુચડ નવલખી પોર્ટ ખાતે કોલસાની ટ્રકમાં તાલપત્રી બાંધવાની મજૂરીનું કામ કરે છે, ત્યારે ગઈકાલ તા.૧૩/૦૨ની રાત્રીએ નવલખી પોર્ટમાં કોલસાના ભરેલ પ્લોટ નં.૧૦-સી માં ટ્રકમાં તાલપત્રી બાંધવાનું કામ પૂર્ણ કરીને ચાલીને જતા હતા તે દરમિયાન પાછળથી આવતા ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૦૬-જીસી-૩૩૭૩ ના ચાલકે પિતાનો ટ્રક ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી સાગકાવી આવી સીદીકભાઈને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા, અને ટ્રકના આગળના વ્હીલનો જોટ્ટો સીદીકભાઈના માથા ઉપર ફરી વળતા, માથાનો ભાગ છૂંદાઈ જતા, સ્થળ ઉપર જ સીદીકભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનો ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હતો. ત્યારે અકસ્માતમાં મૃત્યુના બનાવ અંગે મૃતક સીદીકભાઈના પિતા ઇશાભાઈ ઉમરભાઈ બુચડ દ્વારા માળીયા(મી) પોલીસ મથક ખાતે આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.









