હાલ ઈજાગ્રસ્ત યુવક રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે ભાઈની દીકરીએ પ્રેમલગ્ન કર્યાના જુના વિવાદના મનદુઃખને લઈને યુવકને છરી વડે આડેધડ ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફેફસા તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ હુમલાખોર નાસી ભાગી ગયો હોય જેથી માળીયા(મી) પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા.૨૬/૦૩ ના રોજ રાત્રે મોટા દહીંસરા ગામની બજારમાં બાપા સીતારામ પાનના ગલ્લા પાસે બનેલ બનાવમાં ફરિયાદી વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઈ બરારીયા ઉવ.૩૨ ઉપર આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે.મોટા દહીંસરા વાળાએ છરી વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદીના ભાઈની દીકરીએ આરોપીના કુટુંબના યુવક સાથે પ્રેમલગ્ન કરેલા હોવાના કારણે બંને પક્ષ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ રોષને કારણે આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને જમણા હાથની બગલ નીચે, પાંસળી અને ફેફસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ હાથ અને ગાલ પર ઘા લાગ્યા હતા. હુમલા બાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
હુમલામાં ઈજાગ્રસ્તને તાત્કાલિક રાજકોટની સિનેર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, હાલ યુવકની સારવાર ચાલુ હોય ત્યારે તેની ફરિયાદને આધારે પોલીસ દ્વારા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.









