મોરબી શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે અગાઉ એકટીવા અથડાવવા બાબતે ત્રણ અસામાજિક તત્વો દ્વારા યુવકને ગેસ્ટહાઉસ રોડ ઉપર આંતરી ઢીકાપાટુનો માર મારી છરીના બે ઘા મારી દેવામાં આવ્યા છે, તુરે ભોગ બનનાર યુવક દ્વારા ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા હાઉસિંગ બોર્ડ બ્લોક નં.૪૯ માં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સુમરા ઉવ.૨૯ ગઈકાલે તા.૦૧/૦૨ ના રોજ નગર દરવાજા ચોકથી પોતાના એકટીવા રજી.નં. જીજે-૩૬-યુ-૮૬૯૧ ઉપર ઘરે જઇ રહ્યા હતા ત્યારે ગેસ્ટહાઉસ રોડ સીપીઆઈ કચેરી ડીલક્ષ પાન નજીક સામેથી આવતા એકટીવા મોપેડમાં એજાજ નૂરમામદ જામ, રફીક નૂરમામદ જામ અને ત્રીજો અજાણ્યો ઈસમ એમ ત્રણેય આવી રફીકભાઈને આંતરી કહેવા લાગ્યા કે અગાઉ તે એકટીવા અથડાવી કેમ અકસ્માત કર્યો હતો, જેથી રફીકભાઈએ કહ્યું કે તે બાબતે સમાધાન થઈ ગયું છે. તેમ વાત કરતા ત્રણેય એકદમ ઉશ્કેરાઈ રફીકભાઈને ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગેલ તે દરમિયાન એજાજ અને રફીકે તેમના એકટીવા માંથી છરી કાઢીને રફીકભાઈને આગળના પેડુના બગગમાં છરીનો એક ઘા માર્યો અને બીજો ઘા પાછળ થાપાના ભાગે છરીનો ઘા મારી ત્રણેય ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખાતે રફીકભાઈ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓએ ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.