મોરબીના પંચાસર રોડ મામાદેવ મંદિર પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના ધૂળકોટ ગામે પોતાના મામા સાથે રહેતા યુવરાજ હસમુખભાઈ ઝાલા ગત તા.૧૬/૦૨ના રોજ પોતાના હવાલા વાળું હીરો ડિલક્ષ રજી.નં. જીજે-૩૬-એજી-૩૫૧૮ વાળું મોટર સાયકલ લઈને રાત્રીના ફૂલ સ્પીડમા મોરબીથી ધૂળકોટ આવતો હોય ત્યારે પંચાસર રોડ ઉપર મામદેવના મંદિર પાસે અચાનક મોટર સાયકલ આડે ખુટીયો ઉતરતા મોટર સાયકલ સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવરાજને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા ૧૦૮ મારફત તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યાં આઠ દિવસની લાંબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત ન નિવડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં યુવરાજે દમ તોડ્યો હતો. અકસ્માતની આ ઘટના મામલે મૃતકના મામાની ફરીયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મૃતક મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









