હળવદ તાલુકાના ચુંપણી ગામે થયેલા છરીકાંડમાં આધેડની હત્યા અને તેના પત્નીને ઈજા પહોંચાડવાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોરબી સેશન્સ કોર્ટ દ્વારા IPC કલમ 302 અને 324 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.26/03/2024ના રોજ સાંજે અંદાજે 7:00 વાગ્યાના અરસામાં ચુંપણી ગામના ઝાંપા પાસે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ આલેકિયાએ જૂના મનદુઃખને કારણે ભરતભાઈ રામાભાઈ ઓળકિયાના પિતા રામાભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બનાવના ચાર દિવસ અગાઉ દ્વારકા જવા બાબતે થયેલા મનદુઃખને પગલે “મારી વાડીના શેઢેથી ન ચાલવા” જેવી બોલાચાલી બાદ આરોપીએ ખાર રાખી હુમલો કર્યો હતો. હુમલામાં રામાભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. વચ્ચે બચાવવા ગયેલી વાલીબેનને પણ જમણા હાથની હથેળીમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો. આ મામલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 302, 324 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે બીજા એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી.સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે દ્વારા 22 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવાઓને આધારે કોર્ટે આરોપી ગણેશભાઈ વાલજીભાઈ આલેકિયાને IPC કલમ 302 હેઠળ આજીવન કેદ અને રૂ. 5000 દંડ (દંડ ન ભરે તો બે માસની કેદ) તેમજ IPC કલમ 324 હેઠળ એક વર્ષની કેદ અને રૂ. 1000 દંડ (દંડ ન ભરે તો 15 દિવસની કેદ)ની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ સંજયભાઈ સી. દવે રોકાયેલ હતા.









