મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેઇન બસેરા) ખાતે બેઘર વ્યક્તિઓ માટે મફત રહેવા, ગરમ નાસ્તો, બપોર અને રાત્રિનું ભોજન, આરોગ્યસેવા તથા બાળકોના શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મનપાની કલ્યાણકારી સેવાઓ અંગે કોલેજના વિદ્યાર્થીઓને અવગત કરવા આશ્રયગૃહની મુલાકાત યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા અને અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ (UCD) શાખાની દેખરેખ હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેઇન બસેરા)ની મુલાકાત લીધી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને શ્રી સિદ્ધી ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આ રાત્રિ આશ્રયસ્થાન બેઘર વ્યક્તિઓને મફત રહેવાની વ્યવસ્થા અને સંભાળ પૂરી પાડે છે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનપા દ્વારા ઘરવિહોણા વ્યક્તિઓ માટે આપવામાં આવતી કલ્યાણકારી સેવાઓથી પરિચિત કરવાનો તથા સમાજના વંચિત વર્ગ પ્રત્યે સામાજિક સહયોગની ભાવના વિકસાવવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આશ્રયગૃહમાં રહેવાસીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું અવલોકન કર્યું હતું. આશ્રયગૃહમાં સવારે ગરમ નાસ્તો તેમજ બપોરે અને રાત્રે સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સમયાંતરે મેડિકલ હેલ્થકેર કેમ્પ યોજી આરોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવે છે. ઘરવિહોણા લોકોના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે બાળવાટિકા પણ કાર્યરત છે. ઉપરાંત અઠવાડિયામાં ત્રણ વખત નાઈટ ડ્રાઈવ કરીને બેઘર લોકોને આશ્રયગૃહ સુધી પહોંચાડવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણી પણ અહીં કરવામાં આવે છે.









