મોરબી શહેરમાં વર્ષ 2016 દરમિયાન શરૂ કરાયેલા ભુગર્ભ ગટર પ્રોજેક્ટને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. મોરબી શહેર કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટમાં ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરીને મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2016 માં મુખ્યપ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીના સમયમાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે ભુગર્ભ ગટર સંબંધિત કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ અંતર્ગત બનાવવામાં આવેલા 10 નવા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, તેમાંના મોટાભાગના સ્ટેશન છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત સ્થિતિમાં નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, પમ્પિંગ સ્ટેશન કાર્યરત ન હોવા છતાં કામ કરનાર કંપનીને ચુકવણી શા માટે કરવામાં આવી ? આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં ફરીયાદ કરી તપાસ કરવાની માંગ કરી છે. શહેર કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, અગાઉ મોરબીની જનતાએ નગરપાલિકાની તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડ્યા હતા, પરંતુ એકતરફી મતદાનથી અંતે જનતાને જ નુકસાન થાય છે.
ઝૂલતા પુલ દુર્ઘટના પછી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસે મતદારોને શહેરના વિકાસ માટે જવાબદાર અને ઉપયોગી ઉમેદવારોને પસંદ કરવાની અપીલ કરી છે.









