ઘર વેચાઈ ગયું, સોનાના ઘરેણાં વેચાયા છતાં વ્યાજખોરોની ધમકી ચાલુ, યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા મિસ્ત્રી કામ કરતા એક યુવકે ધંધામાં નુકશાન બાદ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવવા છતાં વિવિધ વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મોરબી પોલીસમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ અક્ષર એપાર્ટમેન્ટ ચોથા માળે બ્લોક નં ૪૦૧માં રહેતા જગદીશભાઈ કીર્તિભાઈ ગજ્જર ઉવ.૩૯એ આરોપી રાજુભાઈ ડાંગર રહે. રાજબેંક વાળી શેરી મોરબી, ભાવેશભાઈ વધાડીયા મિસ્ત્રી રહે. મોરબી, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા રહે. રવાપર ધુનડા રોડ મોરબી, કિશનભાઈ મનુભા લાંબા ગઢવી રહે. વજેપર મોરબી, ભરતભાઈ કાનાભાઈ ચાવડા (બી.કે. આહીર) રહે. રવાપર સદગુરૂ સોસાયટી મોરબી વાળા એમ પાંચ વ્યાજખોર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે જગદીશભાઈ કોરોના પછી આર્થિક તંગી દરમ્યાન વિવિધ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેના પર નિયમિત વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી અને ધમકીઓ આપતા હતા. આરોપીઓ વધુ વ્યાજની માંગણી, ચેક બાઉન્સની ધમકી, બે મોપેડ મોટરસાયકલ બળજબરીપૂર્વક પડાવી લીધા તથા ઘરના દસ્તાવેજોની નકલ વ્યાજખોર પાસે રાખી વેચાણ માટે દબાણ કરતા હોય, વ્યાજખોરના આતંકથી જગદીશભાઇએ ગત તા.૧૯ મે ૨૦૨૫ના રોજ પોતાનું ઘર પણ છોડી દીધું હતું. પરંતુ વ્યાજખોરો પરિવારને હેરાન કરશે તેવી બીકથી પોતે પરત આવી પરિવારજનોએ હિંમત આપતા તમામ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.